ગાંધીનગર ખાતે ગુજરાત ગેસ લિમિટેડની કચેરીમાં આજે ગેસ સપ્લાયની હાલની ગંભીર પરિસ્થિતિને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત ગેસના મેનેજિંગ ડિરેક્ટર અવંતિકા સિંહ સહિતના અધિકારીઓ સાથે મોરબી સિરામિક ઉદ્યોગના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
મોરબી સિરામિક એસોસિએશન તરફથી પ્રમુખ મનોજભાઈ એરવાડિયા ઉપરાંત નરેન્દ્રભાઈ સંગાત, નિલેશભાઈ જેતપરિયા, પરેશભાઈ કુંડારિયા અને વિપુલભાઈ સવસાણી હાજર રહી ચર્ચામાં જોડાયા હતા.
બેઠક દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત વિચારવિમર્શ કરવામાં આવ્યો:
1.ગેસના ભાવ અંગે:
કંપનીએ હકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો અને આંતરરાષ્ટ્રીય બજારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 15 એપ્રિલે ફરી બેઠક યોજી ભાવ બાબતે નિર્ણય લેવાશે તેવું જણાવ્યું હતું.
2. બેંક ગેરંટી મુદ્દે:
બિલિંગ સાયકલને 5 થી 7 દિવસ સુધી લંબાવવા અંગે કંપનીએ સકારાત્મક સંકેત આપ્યો હતો.
3.MGO વપરાશ મુદ્દે:
100 ટકા વપરાશના નિયમમાં છૂટછાટ આપી 80થી 85 ટકા વપરાશને મંજૂરી આપવા તરફ પણ કંપનીએ સકારાત્મક પ્રતિભાવ દર્શાવ્યો હતો.
આ ઉપરાંત આવતા અઠવાડિયામાં એસોસિએશનની કમિટી નવી દિલ્હીમાં સેન્ટ્રલ ગેસ કમિટી સમક્ષ પોતાની રજૂઆત કરશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી.

