મોરબીમાં વરિયા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ દ્વારા 10 ફેબ્રુઆરીના રોજ 39મા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના રિવેરા સિરામિક ખાતે યોજાયેલા આ પ્રસંગે 24 નવદંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લગ્નગ્રંથિથી જોડાઈને નવા જીવનની શરૂઆત કરી હતી.
મોરબી વરિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ દ્વારા આ સમૂહલગ્નમાં અનોખી પહેલ રૂપે પુસ્તક પ્રદર્શનનું આયોજન કરાયું હતું. છેલ્લા બે વર્ષથી આ પ્રદર્શન યોજાય છે. મંડળની લાઇબ્રેરીમાં 2,500થી વધુ ધાર્મિક, આધ્યાત્મિક, વાર્તાઓ, બાળવાર્તાઓ તેમજ GPSC અને UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો ઉપલબ્ધ છે. આ પ્રસંગે 100થી વધુ લોકો પોતાની પસંદગીના પુસ્તકો વાંચવા માટે ઘરે લઈ ગયા હતા.
સમૂહલગ્નનો મુખ્ય હેતુ સમાજમાં થતા બિનજરૂરી ખર્ચાઓ અટકાવવાનો અને મધ્યમ વર્ગને આર્થિક ટેકો પૂરો પાડવાનો છે. આ આયોજનને સફળ બનાવવા માટે પ્રમુખ ગોકલભાઈ ભોરણીયા, ઉપપ્રમુખ પ્રવિણભાઈ એમ. વારનેશિયા, ઈશ્વરભાઈ નારણીયા, વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના કાર્યકારી પ્રમુખ ભાવેશ વામજા સહિત 100થી વધુ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
આ સમૂહલગ્ન પ્રસંગે અનેક રાજકીય અને વહીવટી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મોરબી કલેક્ટર કે.બી. ઝવેરી, ડીડીઓ નવલદાન ગઢવી, ડીવાયએસપી જે.એમ. આલ અને વી.બી. દલવાડી, ડે. ડીડીઓ એસ.સી. ભટ્ટ, મહામંડલેશ્વર રતનેશ્વરીદેવી, મહંત જયરાજનાથ, હડમતીયા મહંત મેહુલદાસબાપુ, આરટીઓ અધિકારી રોહિત પ્રજાપતિ, ગુજરાત પ્રદેશ ભાજપ સહ-કોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારિયા, અરવિંદભાઈ વાંસદડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. કાર્યક્રમની અધ્યક્ષતા નાથાભાઈ સવાડિયાએ કરી હતી. ઉપસ્થિત મહેમાનોએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવી સમૂહલગ્નના સામાજિક અભિગમને બિરદાવ્યો હતો.

