વાંકાનેરના પંચાસર બાયપાસ પર મચ્છુ નદી ઉપર આવેલા હાલના પુલની બાજુમાં નવો બીજો પુલ બનાવવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે. વાંકાનેરના ધારાસભ્યના કાર્યાલય તરફથી મળેલી માહિતી મુજબ આ પુલ માટે અંદાજે રૂ. 55 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
મળેલી વિગતો અનુસાર પંચાસર બાયપાસ પર આવેલો મચ્છુ નદીનો હાલનો પુલ અગાઉ ક્ષતિગ્રસ્ત થયો હતો, જેને તાજેતરમાં રિપેરીંગ કરીને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જોકે, વધતા વાહનવ્યવહાર અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પુલની બાજુમાં નવો પુલ બનાવવાની રજૂઆત વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કરી હતી.
આ રજૂઆતને ધ્યાનમાં લઈ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નવા પુલના નિર્માણને મંજૂરી આપી છે. પ્રસ્તાવિત પુલ હાલના પુલની બાજુમાં ટુ-લેન અને ફુટપાથ સુવિધા સાથે બનાવવામાં આવશે, જેનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 55 કરોડ રહેશે.
મંજૂરી અંગેની સત્તાવાર જાણ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ધારાસભ્યને કરવામાં આવી હતી. આ સમાચાર મળતાં જ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

