HomeGujaratમોરબીના લાલપરમાં 20 લાખ લિટર પાણીની ક્ષમતા ધરાવતી ટાંકી અને પંપ હાઉસનું...

મોરબીના લાલપરમાં 20 લાખ લિટર પાણીની ક્ષમતા ધરાવતી ટાંકી અને પંપ હાઉસનું ઉદ્ઘાટન

નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે રૂ. 31.85 લાખના ખર્ચે નવનિર્મિત યોજનાની જલ અર્પણ વિધિ કરાઇ

રાજ્યના પ્રત્યેક નાગરિકને ઘર આંગણે શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી મળી રહે તેવા સરકારના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ‘જલ અર્પણ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે મોરબી તાલુકાના લાલપર ગામે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઉપસ્થિતિમાં વાસ્મો દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભડીયાદ જૂથ યોજનામાં સમાવિષ્ટ રૂ. 31,85,585 ના ખર્ચે તૈયાર થયેલી પીવાના પાણીની યોજનાની મહાનુભાવોએ જલ અર્પણ વિધિ કરી કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આજે છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચ્યા છે. ભૂતકાળની પાણીની વિકટ પરિસ્થિતિને યાદ કરતા તેમણે ઉમેર્યું હતું કે, આજે નર્મદાના નીર અને ‘નલ સે જલ’ યોજના થકી ગામડાઓની ચિંતા દૂર થઈ છે અને ઘરે-ઘરે શુદ્ધ પાણીની સુવિધા ઉપલબ્ધ બની છે. આ તકે તેમણે લાલપર ગામની શાળા માટે પોતાની ગ્રાન્ટમાંથી પાણીનો ટાંકો બનાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. વાસ્મોની કામગીરીને બિરદાવતા તેમણે મોરબીના યુનિટ મેનેજર મહેશ દામાને રાજ્યકક્ષાએ મળેલા શ્રેષ્ઠ એવોર્ડ બદલ મોરબી જિલ્લા વાસ્મોની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. અંતમાં, તેમણે સુવિધાસભર લાલપર ગામના નાગરિકોને 100 ટકા પાણી વેરો ભરી જવાબદાર નાગરિક તરીકે સહયોગ આપવા ખાસ અનુરોધ કર્યો હતો.
આધુનિક માળખાકીય સુવિધાઓના વિકાસ અંતર્ગત લાલપર ગામની અંદાજિત 7000ની વસ્તીને ધ્યાનમાં રાખીને સુદ્રઢ માળખું ઉભું કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે રૂ.29.87 લાખના ખર્ચે 20 લાખ લીટર ક્ષમતાની નવનિર્મિત ઊંચી ટાંકીનું નિર્માણ, પાણીના વિતરણ માટે રૂ. 95,806ના ખર્ચે ૩૨૪ મીટર લાંબી (110 મીમી) કનેક્ટિંગ પી.વી.સી. પાઈપલાઈન, સંપથી નવી ઊંચી ટાંકી સુધી કનેક્ટિંગ પાઈપલાઈન, રૂ.72,322ના ખર્ચે પંપરૂમ અને રૂ.25,757ના ખર્ચે 10 હોર્સ પાવરની આધુનિક પમ્પિંગ મશીનરી કાર્યરત કરવામાં આવી છે.

કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ગામની ઊંચી ટાંકી, નળ અને પંપ હાઉસ સહિતના ઘટકોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે લાલપર ગામને સત્તાવાર રીતે ‘હર ઘર જલ’ ગામ જાહેર કરી, યોજનાના મરામત અને નિભાવણી માટે પાણી સમિતિ/ગ્રામ પંચાયતને ‘જલ કળશ’ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ પાણીના કરકસરભર્યા ઉપયોગ અને યોજનાના ટકાઉપણા માટે સામૂહિક ‘જલ સંકલ્પ’ લીધા હતા.

આ પ્રસંગે મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, મોરબી પાણી પુરવઠા કાર્યપાલક ઈજનેર એન વાસ્મોના યુનિટ મેનેજર મહેશ દામા, સહાયક માહિતી નિયામક પારૂલબેન આડેસરા, જિલ્લા પંચાયતના સદસ્ય જયંતીભાઈ પડસુંબીયા, અગ્રણી અરવિંદભાઈ વાંસદડિયા, લાલપરના સરપંચ રમેશભાઈ વાંસદડિયા અને ઉપસરપંચ રાજુભાઈ જેતપરિયા, સ્થાનિક આગેવાન, પાણી સમિતિના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW