નવરાત્રી પર્વ ને હવે ગણતરી દિવસ બાકી રહ્યા છે શહેરમાં પ્રાચીન અને અર્વાચીન નવરાત્રીના આયોજનને લઇ તૈયારી થવા લાગી છે મોરબીમાં અલગ અલગ સ્થળે અર્વાચીન ગરબીઓના આયોજન થતા હોય છે અને તેમાં હજારોની સંખ્યામાં લોકો ગરબા માટે આવતા હોય છે ત્યારે જાહેર સુરક્ષાને ધ્યાને લઇ વહીવટી તંત્ર એક્શન માં આવ્યું છે અને ગઈકાલે મોરબી પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ મોરબી મહાનગરપાલિકા તરફથી ચીફ ફાયર ઓફિસર તથા વિવિધ નવરાત્રીના આયોજકોની હાજરીમાં મોરબી શહેરમાં આગામી નવરાત્રી -૨૦૨૫ ના આયોજન અને હંગામી પર્ફોમન્સ લાઇસન્સ તેમજ જાહેર સલામતી અંગેની મિટિંગ રાખવામાં આવેલ હતી.
જેમાં માણસોની ક્ષમતા પ્રમાણે એન્ટ્રી અને એક્ઝિટ રાખવા, જરૂરિયાત મુજબની પાર્કિંગ માટેની જગ્યા ફાળવવી, નિયમ મુજબના ફાયર સેફટીના સાધનો રાખવા તથા FIRE NOC મેળવવા વઘુમાં કોઈ પણ ઇમરજન્સી માટે મેડિકલ કીટ અથવા મેડિકલ ટીમ રાખવા જેવા વિવિધ મુદ્દાઓની સૂચનાઓ આપવામાં આવેલ હતી.
હંગામી ફાયર સેફટી સર્ટિફીકટ મેળવવા માટે gujfiresafetycop.in વેબ સાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.જે બાબતે દેવેન્દ્રસિંહ જાડેજા,ચીફ ફાયર ઓફીસર દ્રારા ફાયર સેફટી સર્ટિફીકેટ મેળવવા તેમજ ફાયર સેફટી માટે આયોજકોને માહિતગાર કરવામાં આવ્યા હતા . આયોજક દ્રારા જરૂરી કાગળો જમા કરાવ્યા બાદ તેમજ લાગુ પડતાં વિભાગો પાસેથી સ્પષ્ટ અભિપ્રાય આવ્યા બાદ જ હંગામી મનોરંજન પર્ફોમન્સ લાઇસન્સ આપવામાં આવશે. જે આયોજકોની અરજી કરવાની બાકી હોય તેઓએ વહેલામાં વહેલી તકે જરૂરી કાગળો સાથે મોરબી પ્રાંત કચેરીમાં અરજી કરવામાં જણાવવામાં આવ્યુ છે

