ગુજરાત સરકારે ફયૂઅલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. હવે ફ્યૂઅલ સર ચાર્જ 2.45થી ઘટીને યુનિટનો દર 2 રૂપિયા 30 પૈસા થઈ જશે. આમ, 100 યુનિટના વપરાશ પર રૂ.15નો ફાયદો થશે. નાણાંમંત્રી કનુદેસાઈએ જણાવ્યું કે, 1 જુલાઈ-2025થી આ ઘટાડો લાગુ થશે. આ ચાર્જ ઘટાડો સરકારી વીજ કંપનીઓ એવી PGVCL, MGVCL, UGVCL,DGVCLના ગ્રાહકોને જ લાગુ પડશે.
ઉદાહરણથી સમજીએ તો જો 100 યુનિટનો વપરાશ હોય અને એના પર હાલનો ફ્યૂઅલ સરચાર્જ 2.45 ગણીએ તો એ 245 રૂપિયા થાય છે, પરંતુ હવે એમાં 15 પૈસાનો ઘટાડો થવાથી ફ્યૂઅલ સરચાર્જ 2.30 થાય છે, જેથી 230 ફ્યૂઅલ સરચાર્જ થાય. આમ, 100 યુનિટે 15 રૂપિયાની બચત થશે.
આ પહેલાં ગુજરાત સરકારે ઓક્ટોબર-2024માં ફ્યૂઅલ સરચાર્જ 2.85થી 40 પૈસા ઘટાડી 2.45 કર્યો હતો, જ્યારે માર્ચ 2024માં ફ્યૂઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કર્યો હતો. એ સમયે ફ્યૂઅલ સરચાર્જ 3.35 હતો, જે ઘટીને 2.85 થયો હતો. આમ, 18 મહિનામાં 1 રૂપિયો અને 5 પૈસા ફ્યૂઅલ સરચાર્જ ઘટતાં હવે 100 યુનિટ વીજળીએ 105 રૂપિયા બચશે.
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, 01 જુલાઈ 2025થી કરેલા વીજ વપરાશ ઉપર તમામ શ્રેણીના વીજ ગ્રાહકો પાસેથી ફ્યુઅલ સરચાર્જ હવે પ્રતિ યુનિટ રૂ. 2.30ના ઘટાડેલા દરે વસૂલાત કરવામાં આવશે. વીજ નિયમન આયોગ (GERC) દ્વારા કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી આ દર યથાવત રહેશે. ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને જુલાઈથી સપ્ટેમ્બર-2025 દરમિયાન વીજ વપરાશ ઉપર આશરે રૂ.400 કરોડથી વધુનો લાભ થશે.

