છેલ્લા ઘણા સમયથી શિયાળુ પાક માટે ખેડૂતોને યુરિયા ખાતરની જરૂરિયાત હોય ત્યારે ખાતર ન મળવાની ફરિયાદો મળી રહી છે. ત્યારે હળવદના નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર પર ખેડૂતોને ખાતર નહીં આપતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા. ખેડૂતોને જરૂરિયાત પ્રમાણેની યુરિયા બેગ આપવામાં નથી આવતી તેમજ સાથે અન્ય નેનો તેમજ અન્ય ખાતર પધરાવી દેવામાં આવે છે અને ખેડૂતોને ના છૂટકે લેવું પડે છે.
ત્યારે આજે વહેલી સવારથી લાઈનમાં ઊભેલા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. હળવદમાં નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર પર બે કલાકથી વધુ સમયથી લાઈનમાં ઊભા રહેવા છતાં પણ ખાતર પૂરતું આપવામાં આવતું નથી. તેમજ બારોબાર ખાતર વેચાણ કરવામાં આવતું હોય તેમજ બિલ વગર ભરી દેવામાં આવતું હોય તેવું પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. ત્યારે આજે હળવદમા ખેડૂતો રોષે ભરાયા હતા અને કેન્દ્ર પર હોબાળો કર્યો હતો. જોકે ત્યારબાદ ખેડૂતોની વેદના સાંભળીને ખાતર વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, હળવદમાં 7 ડિસેમ્બરે પોલીસે દરોડો પાડીને સબસિડી વાળી યુરીયા બેગ બદલાવી સફેદ બેગમાં ભરી વેચાણ કરવાનો પર્દાફાશ થયો હતો અને જેમાં 1437 યુરીયા બેગો સાથે 25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મોરબી નાયબ ખેતીવાડી વિસ્તરણ અધિકારીએ પાંચ શખ્સ સામે હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. ત્યારે હળવદ પંથકમાં સબસિડી વાળી યુરીયાની અછત માનવ સર્જિત સમસ્યા હોય તેવી લોકચર્ચા જાગી છે ત્યારે ખેતીવાડી વિભાગ આળસ મરડી કામગીરી કરે તેવી લોકમાંગ ઉઠી છે.

