મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલા ઝૂંપડાઓમાં રાત્રિના અચાનક આગ લાગી હતી. આગની જ્વાળા એટલી ભીષણ હતી કે બાજુમાં આવેલા અનેક ઝૂંપડા આગની લપેટમાં આવી ગયા હતા. જેથી આજુબાજુના લોકો અને ફાયર બ્રિગ્રેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
બનાવની મળતી વિગતો મુજબ, મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલા ઝૂંપડાઓમા રાત્રે કોઈ કારણોસર આગ લાગી હતી. આગે પળવારમાં જ ભયાનક સ્વરૂપ ધારણ કરી લેતા નજીક આવેલા અનેક ઝૂંપડાઓ સળગી ઉઠ્યા હતા અને ઝૂંપડાઓમાંથી ભીષણ જ્વાળાઓ ફાટી નીકળતી હતી. આ ઝૂંપડાઓમાં પરપ્રાંતિયો રહેતા હતા. સારી બાબત એ રહી કે આગ લાગી ત્યારે ઝૂંપડા અંદર કોઈ હતું નહીં એટલે સદભાગે જાનહાનિ અને મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. પણ ઝૂંપડાઓ સળગી જતા તેમાં રહેલા ગરીબ પરિવારની ઘરવખરી બળીને નાશ પામી છે.
આગ લાગતાની સાથે આજુબાજુના લોકોએ જે હાથ લાગ્યું તે વાસણમાં પાણી ભરીને સળગતા ઝૂંપડાને ઠારવાની પ્રયાસો કર્યા હતા. ઘટનાની જાણ થતાં મોરબી ફાયર બ્રિગ્રેડ ઘટનાસ્થળે દોડી ગયું હતું અને આગ પર કાબૂ મળેવા કામગીરી હાથ ધરી હતી. આ અંગે ફાયર અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજા જણાવ્યું હતું કે, આગ કઈ રીતે લાગી તે જાણી શકાયું નથી. પણ કોઈ જાનહાનિ થઈ હતી નહીં અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

