ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 ના બન્ને તબક્કાના મતદાન માટેની ચૂંટણી પ્રક્રિયા નિશ્ચિત શિડ્યુલ પ્રમાણે ચાલી રહી છે. બન્ને તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. તમામ જિલ્લાઓમાં ચૂંટણી તંત્ર દ્વારા આ કામગીરી આયોજનબદ્ધ રીતે ચાલી રહી છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ આજે જણાવ્યું હતું કે, આદર્શ આચારસંહિતાનું ચુસ્ત પાલન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં આચારસંહિતાના ભંગની એક પણ ગંભીર ફરિયાદ આવી નથી. એટલું જ નહીં, c-VIGIL મોબાઇલ એપ જેવા સરળ અને હાથવગા માધ્યમો હોવાથી સામાન્ય નાગરિકોમાં પણ આદર્શ આચાર સંહિતાના પાલન પ્રત્યે સારી સજાગતા જોવા મળી છે. મતદાન જાગૃતિ માટેના અમારા પ્રયત્નોને પણ સમાજના તમામ વર્ગોમાંથી પ્રોત્સાહક પ્રતિભાવ મળી રહ્યો છે. તમામ જિલ્લાઓમાં ચૂંટણી તંત્ર કામગીરી કરી રહ્યું છે.
ઈ.વી.એમ.- વી.વી.પેટનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન પૂર્ણઃ
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, તમામ જિલ્લાઓમાં ઈ.વી.એમ. અને વી.વી.પેટના ફર્સ્ટ રેન્ડમાઈઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં આ કામગીરી પૂર્ણ કર્યા પછી ઈ.વી.એમ અને વી.વી.પેટ મશીનો જે –તે મતવિસ્તારના ચૂંટણી અધિકારીઓને સોંપવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. તમામ મશીનોની યાદી પણ રાજકીય પક્ષોને આપવામાં આવી રહી છે. ભારતના
ચૂંટણી પંચની તમામ સુચનાઓના ચુસ્ત પાલન સાથે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ કામગીરી ચોકસાઈપૂર્વક ચાલી રહી છે. હરિફ ઉમેદવારોની યાદી આખરી થયા પછી તેમના પ્રતિનિધિઓની હાજરીમાં ઈ.વી.એમ અને વી.વી.પેટના સેકન્ડ રેન્ડમાઈઝેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વરિષ્ઠ મતદારો, દિવ્યાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થાઃ
80 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો અને કોવિડ-19 પ્રભાવિત કે શંકાસ્પદ કક્ષામાં સમાવિષ્ઠ મતદારો પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનો મળીને 12,26,911 મતદારો નોંધાયા છે. દરેક જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સંભાળી રહેલાં કર્મચારીઓ આવા મતદારોની રૂબરૂ મુલાકાત લઈ રહ્યાં છે. અત્યારસુધીમાં 7,77,604 મતદારોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી છે. જે મતદારો મતદાન મથક સુધી જઈ શકે તેમ નથી તેવા મતદારો ફોર્મ 12-ડી ભરી રહ્યાં છે. અત્યારસુધીમાં આવા 4,93,310 મતદારોને ફોર્મ-12 ડી આપવામાં આવ્યું છે.
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સુચારૂ સંચાલન અને દેખરેખ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા જનરલ ઓબ્ઝર્વર્સ અને પોલીસ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં થાય એટલુ જ નહિં, ઉમેદવારોના ખર્ચ પર દેખરેખ રાખવા માટે પણ ખર્ચ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે. પ્રથમ તબક્કાનું મતદાન જ્યાં થવાનું છે તે વિસ્તારો માટે 58 જનરલ ઓબ્ઝર્વર્સ, 21 પોલીસ ઓબ્ઝર્વર્સ અને 36 ખર્ચ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામા આવી છે જ્યારે બીજા તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે તે વિસ્તારો માટે 56 જનરલ ઓબ્ઝર્વર્સ, 15 પોલીસ ઓબ્ઝર્વર્સ અને 33 ખર્ચ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યારે 114 જનરલ ઓબ્ઝર્વર્સ, 36 પોલીસ ઓબ્ઝર્વર્સ અને 69 ખર્ચ ઓબ્ઝર્વર્સ ફરજ બજાવી રહ્યા છે.

ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા રાજ્યમાં હાલમાં 611 ફ્લાઈંગ સ્કૉડ અને 802 સ્ટેટીક સર્વેલન્સ ટીમો કાર્યરત છે. અત્યાર સુધીમાં રૂ.7,188 લાખની કુલ જપ્તી કરવામાં આવી છે, જેમાં રૂ.66 લાખની રોકડ, રૂ.385 લાખની કિંમતનો દારૂ, રૂ.94 લાખનું ડ્રગ્સ અને રૂ.187 લાખની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. જ્યારે રૂ.6,456 લાખની કિંમતની અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. જેમાં ચાઈનીઝ રમકડાં, મોટરકાર, મોટરસાયકલ, મોબાઈલ ફોન વગેરેનો સમાવેશ થાય છે.
આચારસંહિતાનો અમલઃ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજ્યમાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. મુખ્ય નિર્વાચન અધિકારી શ પી.ભારતીએ જણાવ્યું હતું કે, આદર્શ આચારસંહિતા અમલી બન્યા પછી અત્યારસુધીમાં સરકારી ઈમારતો અને સરકારી સંકુલો પરથી 2,28,981 અને ખાનગી મિલકતો કે સંકુલો પરથી 44,233 પોસ્ટર્સ, બેનર્સ કે જાહેરાતો દૂર કરવામાં આવ્યા છે. આટલા દિવસો દરમિયાન આદર્શ આચારસંહિતાના ભંગની કોઈ ગંભીર ફરિયાદ મળી નથી.

ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓનલાઈન ફરિયાદ માટે નેશનલ ગ્રિવન્સીસ રિડ્રેસલ સિસ્ટમ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા છેલ્લા સપ્તાહમાં 1,323 ફરિયાદો મળી છે. તે પૈકી 1,172 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.
સામાન્ય પ્રકારની ફરિયાદો માટે નાગરિકો અન્ય માધ્યમોનો ઉપયોગ કરી રહ્યાં છે. નાગરિકોની ફરિયાદો અને સુવિધા માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા કંટ્રોલ રૂમના ફોન નંબર આપવામાં આવ્યા છે. આ માધ્યમ મારફતે અત્યાર સુધીમાં 44 ફરિયાદો મળી છે. તે તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.
આ કચેરીમાં મિડિયા સેલ ઊભો કરીને ટેલિવિઝન અને સોશિયલ મિડિયા પર દેખરેખ રાખવામાં આવી રહી છે. પ્રચાર માધ્યમો પરથી 28 ફરિયાદો મળી છે. જે પૈકી 17 ફરિયાદનો નિકાલ થયો છે.
આ કચેરીની ફરિયાદ શાખાને ટપાલ કે ઈ-મેઈલ દ્વારા અત્યારસુધીમાં 154 ફરિયાદો મળી છે. તે પૈકી 66 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. વિવિધ પ્રકારની કુલ 4,349 ફરિયાદો મળી છે, જેમાં EPICની 3,654 ફરિયાદો તથા મતદારયાદી અને આચારસંહિતા ભંગની 05 ફરિયાદો મળી છે. જેમાંથી 4,101 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે..
ગુજરાતમાં રાજ્યકક્ષાના 48 માસ્ટર ટ્રેનર્સને આ ઈન્સ્ટીટ્યુટ દ્વારા તાલીમ આપવામાં આવી છે. જ્યારે જિલ્લાકક્ષાના 75 માસ્ટર ટ્રેનર્સને રાજ્યકક્ષાએથી તાલીમ આપવામાં આવી છે. રાજ્યકક્ષાએ 74 જેટલા પોલીસ માસ્ટર ટ્રેનર્સને સંબંધિત વિષયોની તાલીમ આપવામાં આવી છે. આ માસ્ટર ટ્રેનર્સ દ્વારા 76,594 જેટલા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે.
શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, અત્યારે તાલીમ પ્લાન પ્રમાણે જિલ્લાકક્ષાએ ચૂંટણી મામલતદાર, નાયબ મામલતદાર, સેક્ટર ઑફિસર્સ, માઈક્રો ઓબ્ઝર્વર્સ, બુથ લેવલ ઑફિસર્સ, એમ.સી.સી.ટીમ, ઈ.ઈ.એમ. ટીમ, એમ.સી.એમ.સી. ટીમ વગેરેને તાલીમ આપવામાં આવી રહી છે. જિલ્લાકક્ષાએ ઈ.વી.એમ., વી.વી.પેટના પ્રથમ રેન્ડમાઈઝેશન પછી પોલીંગ સ્ટાફ, પ્રિસાઈડીંગ ઓફિસર્સ અને પોલીંગ ઓફિસર્સ વગેરેને તાલીમ આપવામાં આવશે.

