મોરબી નગરપાલીકાના ચીફ ઓફીસર ની તાજેતર માં હળવદ ખાતે બદલી કરવામાં આવ્યા છે. જેની સામે કોઈ નવા ચીફ ઓફિસર મુકવામાં ન આવતા એ મોરબી નગરપાલીકા ચીફ ઓફીસર વિહોણી બની છે. મોરબી શહેર ની વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે હાઈ કેડર ના ચીફ ઓફીસર ની તાત્કાલીક ધોરણે નિમણુંક કરવા માગણી કરવામાં આવી છે.
તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મોરબી ને જીલ્લો જાહેર કરવા માં આવેલ છે પરંતુ 9-9 વર્ષ વિતવા છતાં પણ આજ દીન સુધી મોરબી શહેર ની પ્રજા પ્રાથમિક સુવિધાઓ માટે જંખી રહી છે. શહેર ના વિવિધ પોશ તેમજ દુર્ગમ વિસ્તારો ઉબળ-ખાબળ રોડ રસ્તા, પીવા ના પાણી ની સમસ્યા, જાહેર શૌચાલયો ની સમસ્યા, વરસાદી પાણી ના નિકાલ ની સમસ્યા, સફાઈ તેમજ ગટર ઉભરાવવા ની સમસ્યા, સ્ટ્રીટ લાઈટ ની સમસ્યા સહીત ની વિવિધ સમસ્યાઓથી ઘેરાયેલ છે. મોરબી જીલ્લો બન્યા બાદ આજ દીન સુધી શહેર માં એક પણ ફરવાલાયક સ્થળ પણ ઉપલબ્ધ નથી. જે ખરેખર સંવેદનશીલ સરકાર માટે કલંક સમાન ગણી શકાય. ગત નગરપાલીકા ની ચુંટણી માં મોરબી ની પ્રજાએ મોરબી નગરપાલીકા નાં કુલ 13 વોર્ડની તમામ ૫૨ બેઠકો ભાજપ ને અપાવી હતી પરંતુ પાલીકા તંત્ર પ્રજા ના પ્રાણ પ્રશ્નો ઉકેલવા માં ઉણું ઉતર્યુ હોય તેવુ લાગી રહ્યુ છે, માત્ર એટલુ જ નહીં જીલ્લા ભાજપ કાર્યાલય પાસે પણ ગટર ઉભરાવવા ના અહેવાલો વારંવાર મિડીયા માં પ્રસિધ્ધ થઈ રહ્યા છે. ત્યારે એક સમયે સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ની ઓળખ ધરાવતુ મોરબી શહેર આજે પ્રાથમિક સમસ્યાઓથી ઘેરાયેલ છે.આ દરેક સમસ્યાઓના નિરાકરણ માટે નગરપાલીકા માં ઉચ્ચ લાયકાત તેમજ અનુભવ ધરાવતા ચીફ ઓફીસર હોવા આવશ્યક છે, માટે સમગ્ર વિશ્વમાં ઔદ્યોગિક ક્ષેત્રે ભારત દેશ નો ડંકો વગાડનાર મોરબી શહેરની સમસ્યાઓના નિરાકરણ તેમજ પ્રજા ની સુખાકારી માટે હાઈકેડરના ચીફ ઓફીસરની નિમણુંક કરવા યોગ્ય આદેશ આપવા માગણી કરી હતી.

