વાંકાનેર તાલુકામાં વ્યાજખોરીના ચક્રમાં સપડાયેલા એક વ્યક્તિની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરીને આરોપીઓ પાસેથી કબજે કરાયેલ સોનાના દાગીના, સ્વિફ્ટ કાર અને સ્પ્લેન્ડર મોટરસાયકલ ફરીયાદી તથા અન્ય પીડિતોને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત પરત સોંપ્યા છે.
તા. 31/05/2026ના રોજ રાતાવીરડા ગામના રહેવાસી પ્રવિણભાઈ હરખાભાઈ ઉકેડીયાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રાતાવીરડા ગામના ભનુભાઈ લાલજીભાઈ કુણપરા અને સવશીભાઈ જાદવભાઈ કુણપરાના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા.
તપાસના આધારે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં લાકડધાર ગામના બીજલભાઈ ઉર્ફે ભોજાભાઈ બેચરભાઈ ગીંગોરાએ વ્યાજની વસૂલાતના બહાને ફરીયાદી પાસેથી GJ-36-BC-0783 નંબરની સ્પ્લેન્ડર મોટરસાયકલ, જેની કિંમત અંદાજે રૂ. 30,000 હતી, પોતાના કબજામાં લીધી હતી.
આ ઉપરાંત, મોરબીના રવાપર રોડ સ્થિત પુષ્કર એપાર્ટમેન્ટમાં રહેતા હિતેશભાઈ મગનભાઈ કકાસણિયાએ ભનુભાઈ લાલજીભાઈ કુણપરાની GJ-36-AJ-6096 નંબરની સ્વિફ્ટ કાર, જેની કિંમત આશરે રૂ. 3 લાખ હતી, વ્યાજ પેટે પડાવી લીધી હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું કે ફરીયાદી અને બંને સાક્ષીઓ પાસેથી કુલ 89.93 ગ્રામ વજનના સોનાના દાગીના, જેની અંદાજિત કિંમત રૂ. 7,19,440 જેટલી થાય છે, તે પણ વ્યાજખોરીના ભાગરૂપે આરોપીઓએ કબજે કર્યા હતા.
વાંકાનેર તાલુકા પોલીસે તમામ મુદ્દામાલ આરોપીઓ પાસેથી રિકવર કરીને તપાસ હેતુસર કબજે લીધો હતો. ત્યારબાદ આજે વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાની ઉપસ્થિતિમાં સોનાના દાગીના, કાર અને મોટરસાયકલ ફરીયાદી તથા અન્ય પીડિતોને પરત આપવામાં આવ્યા હતા. આ કામગીરી દ્વારા વાંકાનેર તાલુકા પોલીસે લોકોના હિત અને સુરક્ષાને પ્રાથમિકતા આપતા “પોલીસ પ્રજાની મિત્ર”ના સૂત્રને સાકાર બનાવ્યું છે.

