દિલ્હીમાં એક્સાઈઝ નીતિના અમલમાં કથિત કૌભાંડ અંગે સીબીઆઈ તપાસનો સામનો કરી રહેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના બેન્ક લોકરની સીબીઆઈએ મંગળવારે તપાસ કરી હતી. જોકે, સીબીઆઈને આ લોકરમાંથી કશું મળ્યું નહોતું તેમ આપ નેતા મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો. બીજીબાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે સીબીઆઈ દ્વારા અનૌપચારિક રીતે સિસોદિયાને ક્લિનચીટ અપાઈ છે, પરંતુ રાજકીય દબાણ હેઠળ ૧૦ દિવસમાં તેમની ધરપકડ કરશે.
તેમણે ઉમેર્યું હતું કે, મારા ઘરે સીબીઆઈની રેડ કરાઈ હતી ત્યારે મારી પત્નીના બેન્ક લોકરની ચાવી લઈ ગયા હતા. આ લોકરની મંગળવારે તપાસ કરાઈ હતી. મારા ઘરે સીબીઆઈની ટીમને કશું મળ્યું નહોતું તેમ બેન્ક લોકરમાંથી પણ તેમને કશું મળ્યું નથી. પત્ની અને બાળકોના કેટલાક ૭૦-૮૦ હજાર રૂપિયાના ઘરેણાં હતા. એજન્સીને ક્યાંય એક પૈસાની પણ હેરાફેરી મળી નથી. બધાના મેમો મારી પાસે છે. આ મારા માટે સીબીઆઈની ક્લિન ચીટ છે. જોકે, તેમનું કહેવું છે કે જેલમાં તો નાંખવા પડશે, ઘણું દબાણ છે. મેં કહ્યું કે દેશ માટે ચાર મહિના જેલમાં રહેવું પડે તો પણ કોઈ વાંધો નહીં.
દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અને આપના કન્વિનર અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને સીબીઆઈ દ્વારા અનૌપચારિક રીતે ક્લીન ચીટ આપી દેવાઈ છે, પરંતુ રાજકીય દબાણ હેઠળ અઠવાડિયા-દસ દિવસમાં તેમની ધરપકડ કરવામાં આવશે.

