ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના વડોદરા વર્તુળ દ્વારા આગામી તા.15મી ઓગસ્ટના રોજ, 76માં સ્વતંત્રતા પર્વ પ્રસંગે 50 ફૂટ એટલે કે 15 મીટર ઊંચા ધ્વજ સ્તંભ પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાનંં આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે આ સ્થળે આઝાદીકા અમૃત પર્વ અને હર ઘર તિરંગા અભિયાન હેઠળ સ્વતંત્રતા પર્વની ઉજવણી સવારના સમયે કરવામાં આવશે.
તિરંગો લહેરાશે: વડોદરા શહેરના મકરપુરા વિસ્તારના ઐતિહાસિક હજીરા ખાતે ધ્વજવંદન અને સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૃપે તા.૧૫મી ઓગષ્ટે ૧૫ મીટર ઊંચા સ્તંભ પર રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવશે. અંદાજે ૬૦૦ વર્ષ જૂના ઐતિહાસિક હજીરા ખાતે રાખવામાં આવ્યો છે જે એ.એસ.આઇ.ના સંરક્ષણ હેઠળનું વારસા સ્થળ છે. લોકો આ સ્મારકોના માધ્યમથી ઇતિહાસને જાણે અને તેમના સંરક્ષણમાં સહભાગી બને તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એ.એસ.આઇ.હેઠળ ગુજરાતમાં 177 સંરક્ષિત સ્મારકો છે આ પૈકી કેટલાંક સ્મારકોની મુલાકાત વિનામૂલ્યે લઈ શકાય છે જ્યારે અન્ય કેટલાંકની મુલાકાત પ્રવેશ મૂલ્યને આધીન છે. આઝાદીના ૭૫ વર્ષ હેઠળ હાલમાં જે સ્મારકોમાં પ્રવેશ દર છે, એની મુલાકાત પણ લોકો તા.15 મી ઓગષ્ટ સુધી વિનામૂલ્યે લઈ શકે છે. આ ઉપરાંત વિવિધ સ્મારકો ખાતે પર્વ પ્રાસંગિક લાઈટિંગ કરાશે.

