સૌરાષ્ટ્રમાં કોરોનાના નવા 64 કેસ નોંધાયા બાદ આજે મંગળવારે એકસામટાં 124 લોકો સંક્રમિત બનતાં રાતોરાત કોરોના ડબલિંગ થયાનું ચિત્ર ઉપસ્યું છે. સૌરાષ્ટ્રમાં દેવદર્શન અને પર્યટન માટે લોકોમાં હોટ ફેવરિટ એવો પવિત્ર શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે ત્યારે વધતું જતું સંક્રમણ ચિંતાનો વિષય બન્યું છે. ખાસ કરીને, મોરબી જિલ્લામાં વધુ 10 અને પોરબંદરમાં આઠ નવા કેસ ઉમેરાયા છે, જ્યારે જામનગરમાં તો ફરી કોરોના બ્લાસ્ટ થવા જઈ રહ્યો હોય તેમ શહેરમાં 19 અને રુરલમાં પણ બે કેસ નોંધાયા છે. તેમાં ત્રણ તબીબ પણ વાયરસની ઝપટે ચડી ગયા છે.
પોરબંદરમાં સરકારે જાહેર કર્યા ફક્ત 3: રાજકોટ રુરલમાં પણ 14, મોરબી જિલ્લામાં વધુ 10, અમરેલીમાં 6 લોકો સંક્રમિત

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી રાહત જોવા મળ્યા બાદ આજે શહેરમાં જે 636 લોકોના કોરોનાલક્ષી પરીક્ષણ કરવામાં આવ્યા હતા, તેમાંથી 11 પુરુષ અને 8 મહિલા સહિત 19 લોકોના રિપોર્ટ પોઝિટિવ મળ્યા છે. તેમાં યુવાનથી લઇને 88 વર્ષના વૃદ્ધ સામેલ છે. રંગમતી પાર્ક વિસ્તારમાં રહેતા ૩૯ વર્ષના વકીલ, જોગર્સ પાર્ક વિસ્તારમાં રહેતા એક આધેડ વયના દંપતી તથા વાલ્કેશ્વરી નગરી વિસ્તારમાં રહેતા એક ખાનગી ડોક્ટર અને એક મેડિકલ ઓફિસરનો પણ તેમાં સમાવેશ થાય છે. હાલ શહેરમાં 54 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે, જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં આજે 890 લોકોના પરીક્ષણ કરવામાં આવ્યા હતા, જેમાંથી કાલાવડ તાલુકાના ખરેડી ગામના ૪૯ વર્ષના મેડિકલ ઓફિસર તથા લાલપુર પંથકના 40 વર્ષના મહિલાના રીપોર્ટ પોઝિટિવ મળ્યા હતા.

