એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને નવેસરથી સમન્સ જારી કર્યા છે. હવે EDએ સોનિયા ગાંધીને 21 જુલાઈએ હાજર થવા માટે કહ્યું છે. અગાઉ, જ્યારે EDએ સમન્સ જારી કર્યું હતું, ત્યારે આરોગ્યના કારણોને ટાંકીને સોનિયા ગાંધીએ તેને મોકૂફ રાખવાની વિનંતી કરી હતી. સોનિયા ગાંધીની વિનંતીને ગ્રાહ્ય રાખીને EDએ પૂછપરછની તારીખ જુલાઈના છેલ્લા અઠવાડિયા સુધી લંબાવી આપી હતી.
75 વર્ષીય સોનિયા ગાંધીએ EDને પત્ર લખીને કહ્યું હતું કે ડોક્ટરોએ તેમને થોડો સમય ઘરે આરામ કરવાની સલાહ આપી છે. જણાવી દઈએ કે સોનિયા ગાંધીને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ પહેલા તેઓ 23 જૂને ED સમક્ષ હાજર થવાના હતા. દરમિયાનમાં આ કેસમાં રાહુલ ગાંધી ઘણા દિવસો સુધી ED સમક્ષ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીની હાજરીના વિરોધમાં કોંગ્રેસના નેતાઓ પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેઓએ તેનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે અને કોંગ્રેસ નેતાઓ સામે તેનો ઉપયોગ કરી રહી છે.

