બુધવારે રાત્રે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી છે. મુખ્યમંત્રી નિવાસસ્થાન ‘વર્ષા’ બંગલો ખાલી કરી ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવારના સભ્યો માતોશ્રી પહોંચ્યા છે. શિવસેનાનો વધુ એક ઝટકો લાગ્યો છે. શિવસેનાના વધુ બે ધારાસભ્યો ગુલાબરાવ પાટિલ અને યોગેશ કદમ ગુવાહાટી પહોંચી ગયા છે. અહીં તેઓ એકનાથ શિંદેની આગેવાનીમાં બળવાખોર ધારાસભ્યોના જૂથમાં સામેલ થયા છે. આમાંથી એક ધારાસભ્ય ગઇકાલે ઉદ્ધવ ઠાકરેની ધારાસભ્ય બેઠકમાં સામેલ થયા હતા. આ પહેલા કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણ અને બાળાસાહેબ થોરાટ સીએમ આવાસ જઈને ઉદ્ધવ ઠાકરેને મળ્યાં હતા. આ ઉપરાંત ગુરુવારે સવારે વધુ 3 ધારાસભ્યો ગુવાહાટી માટે રવાના થતાં ઠાકરે સરકાર સંકટમાં આવી છે.
મોટો દાવ: એકનાથ શિંદે પાર્ટી સમક્ષ ફરી વાર એક મોટી શરત મૂકી છે. શિંદેએ આસામની હોટલમાંથી ટ્વિટ કરીને કહ્યું કે શિવસેના અને શિવસૈનિકોના અસ્તિત્વ માટે કોઈ પણ ભોગે મહાવિકાસ અઘાડી ગઠબંધનમાંથી બહાર નીકળી જવું જોઈએ. તેમણે કહ્યું કે છેલ્લા અઢી વર્ષમાં મહાવિકાસ અઘાડી સરકારે ફક્ત સાથી પક્ષોને ફાયદો પહોંચાડ્યો છે અને તેને કારણે શિવસૈનિકોને મોટું નુકસાન થયું છે.
#WATCH | Maharashtra CM Uddhav Thackeray leaves from Versha Bungalow in Mumbai. pic.twitter.com/50KgWLlAx0
— ANI (@ANI) June 22, 2022
શરદની સલાહ: શરદ પવારે પણ ઉદ્ધવને સલાહ આપી હતી કે મુખ્યમંત્રી પદ પર શિંદેને બેસાડી દો. જો કે શિંદે આક્રમક જ છે. શિંદે જૂથ હવે વધુ મજબૂત બની ગયું છે. મોડી સાંજે લગભગ સાડા આઠ વાગ્યે વધુ 4 ધારાસભ્ય ગુવાહાટી પહોંચ્યા છે. 2 શિવસેનાના અને 2 અપક્ષ છે. ગુલાબરાવ પાટિલ, યોગેશ કદમ, મંજુલા ગાબિલ અને ચંદ્રકાંત પાટિલ સામેલ છે. શિંદે દાવો કરી રહ્યાં છે કે તેમની સાથે 46 ધારાસભ્ય છે. 4 નવા ધારાસભ્ય પહોંચ્યા બાદ કુલ ધારાસભ્યોની સંખ્યા 39 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે સાંજે ઉદ્ધવ ઠાકરેએ સોશ્યલ મીડિયા મારફત સંદેશો આપ્યો હતો કે તેઓ રાજીનામું આપવું તૈયાર છે. જેને લઈ હવે શિંદેને મુખ્યમંત્રી બનાવાય તેવી શક્યતાની મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે.

