ભારે વરસાદના કારણે આસામમાં તબાહી વધી રહી છે. આ બધા વચ્ચે વાયુસેનાએ કછાર વિસ્તારમાં અનેક કલાકો સુધી પૂરમાં ફસાયેલી એક ટ્રેનમાંથી સેંકડો મુસાફરોને રેસ્ક્યુ કર્યા હતા. અચાનક જ પૂર અને ભૂસ્ખલનના કારણે રાજ્યમાં ભારે નુકસાની વ્યાપી છે. આ કારણે અનેક સ્થળોએ માર્ગ અને રેલ સંપર્ક તૂટી ગયા છે. જેથી રેલસેવા ખોરવાઇ છે.

ASDMAએ રવિવારે આગામી 12-72 કલાક માટે કછાર, કરીમગંજ, ધોમાજી, મોરીગાંવ અને નગાંવ જિલ્લાઓ માટે પૂરનું એલર્ટ આપેલું છે. સિલચર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેન ભારે વરસાદ અને પૂરના કારણે કછાર વિસ્તારમાં અટવાઈ ગઈ હતી. સ્થિતિ એ હદે વણસી ગઈ હતી કે, ટ્રેન આગળ કે પાછળ પણ ન હતી જઈ શકતી. અનેક કલાકો સુધી ટ્રેન ફસાઈ રહી એટલે જિલ્લા પ્રશાસને ભારતીય વાયુસેનાની મદદથી 119 લોકોને રેસ્ક્યુ કરાવ્યા હતા.

સેના, અર્ધસૈનિક દળ, અગ્નિશામક દળ, ઈમરજન્સી સેવાઓ, SDRF, નાગરિક પ્રશાસન અને પ્રશિક્ષિત સ્વયંસેવકોએ કછાર અને હોજઈ જિલ્લાઓમાંથી આશરે 2,200 લોકોને રેસ્ક્યુ કર્યા છે. ગુવાહાટીના વિભિન્ન ક્ષેત્રોમાં પણ પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી છે. આસામના 5 જિલ્લાઓમાં પૂરના કારણે આશરે 25,000 લોકો પ્રભાવિત થયા છે. કછાર ક્ષેત્રમાં સૌથી વધારે અસર જોવા મળી રહી છે અને 21,000થી પણ વધારે લોકો અસરગ્રસ્ત થયા છે. ત્યાર બાદ કાર્બી આંગલોંગ પશ્ચિમમાં આશરે 2,000 પીડિતો છે અને ધોમાજીમાં 600થી વધારે લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે.

