કોરોના મહામારીના કારણે છેલ્લાં 2 વર્ષથી અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા સદાઈથી ભક્તો વગર યોજાઈ હતી. ત્યારે આ વર્ષે રથયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવવાની શક્યતાને પગલે ગૃહ વિભાગ સતર્ક થઇ ગયો છે.

પોલીસ વિભાગ એલર્ટ: રથયાત્રાને લઈને પોલીસ વિભાગ પણ એલર્ટ થઇ ગયો છે. રથયાત્રાને લઇને અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ કમિશનર તથા ટ્રાફિક જેસીપી પણ હાજર રહ્યાં હતાં.

વિજય રૂપાણીએ વિધિ કરી હતી: ગત વર્ષે 2021માં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નગર યાત્રાએ નિકળી હતી જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પહિંદ વિધિ કરાઈ હતી વિધિ ઓરિસ્સાના જગન્નાથ પુરીમાં થતી ‘છેરા પહેરા’ વિધિ પરથી કરવામાં આવે છે. ગત વર્ષે અમદાવાદની રથયાત્રા ઈતિહાસમાં પ્રથમ વખત ભક્તોની હાજરી વગર નિકળી હતી. બીજી તરફ 14 કલાકની નગર યાત્રાનું 22 કિમીનું અંતર માત્ર 4 કલાકમાં ઝડપથી પૂર્ણ કરીને નિજ મંદિરે પરત આવી હતી.

તૈયારીઓ શરૂ: અખાત્રીજના દિવસે અમદાવાદના જગન્નાથ મંદિરમાં આવેલા 3 ઐતિહાસિક રથની પૂજા કરવામાં આવી હતી. મહત્વનું છે કે, આ વિધિ બાદ જ રથયાત્રાની અન્ય વિધિ અને રથનું સમારકામ શરૂ થાય છે. બાદ હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું કે, ’કોરોનાના કારણે 2 વર્ષ બાદ આ ભવ્ય રથયાત્રા નીકળશે. જેમાં લાખો ભક્તો દર્શન કરશે. તારીખ 14 જૂનના રોજ જળ યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી જોડાશે. રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
ભવ્યથી ભવ્ય રથયાત્રાનું આયોજન થાય તેની તૈયારી માટે મંદિરના મહંતનું માર્ગદર્શન લઈ અને અધિકારીઓને એ મુજબ વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે.

