ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગત વર્ષ કરતાં સામાન્ય ઉંચું આવ્યું હોવા છતાં એન્જીનીયરીંગ કોલેજમાં 20 થી 60 ટકા સુધીની બેઠકો ખાલી રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાત બોર્ડનું ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 72.02 ટકા જાહેર થયું છે. 2020માં 71.74 ટકા હતું. શિક્ષણવિદોના કહેવા પ્રમાણે 26,183 વિદ્યાર્થીઓ જ ગ્રુપ-એમાં ઉર્તિણ થયા છે.
એન્જીનીયરીંગ કોલેજે ટકવું હશે તો ફરજીયાત ઇન્ટરશીપ ઉદ્યોગો તરફ અભ્યાસ વધારવા સહિતના પગલાં ભરવા પડશે. સ્કૂલમાં રુબરુ જઇને વિદ્યાર્થીઓને એન્જીનીયરીંગ વિષે માહિતગાર કરવા પડશે. એ ગ્રુપમાં ઘટતા વિદ્યર્થીઓની સામે બી ગ્રુપમાં સંખ્યા વધી રહી છે. હોમિયોપેથી, આયુર્વેદ, નર્સિંગ જેવા ક્ષેત્રોમાં રસ વધી રહ્યો છે. એન્જીનીયરીંગને લાગેવળગે છે ત્યાં સુધી કોલેજો માટે પડકારજનક સમય ઉદ્દભવ થવાની શક્યતા છે. આઈટી અને કોમ્પ્યુટર એન્જીનીયરીંગને બાદ કરતાં અન્ય અભ્યાસક્રમોમાં પૂરતા વિદ્યાર્થીઓ મળવા મુશ્કેલ બનશે. એવું શિક્ષણ વિભાગના નિષ્ણાંતો જણાવે છે.

રાજ્યમાં સરકારી-ખાનગી સહિતની એન્જીનીયરીંગ કોલેજોનો કુલ 66,000 બેઠકો છે જેને ધ્યાનમાં લેવામાં આવે તો મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહેશે. સીબીએસઇના વિદ્યાર્થીઓની પણ ગણતરી કરવામાં આવે તો પણ સરકારી કોલેજમાં 20 ટકા અને ખાનગી કોલેજમાં 60 ટકા બેઠકો ખાલી રહી શકે છે. આ પરીક્ષામાં કુલ 95,361 વિદ્યાર્થીઓ હતા તેમાંથી 67681 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ગ્રુપ-એમાં 33,369 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જેમાંથી 26,183 પાસ થયા છે તે પૈકી 2299 ડી ગ્રેડમાં પાસ થયા છે. એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે ન્યુનત્તમ 45 ટકા માર્કસ અનિવાર્ય છે. જોકે હાલમાં વૈકલ્પિક કોર્ષનું મહત્વ વધતા વિદ્યાર્થીઓ ઓછા સમયમાં પ્રોફેશનલ કોર્ષ પુરો કરી નોકરી મેળવે છે.

