મોરબી શહેરના કાંતિનગર વિસ્તારમાં ઓછા ભાડામાં મુસાફરોને રિક્ષામાં બેસાડવાના મુદ્દે રિક્ષાચાલક સાથે બે શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલા બાદ આરોપીઓએ રિક્ષાચાલકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
મળતી માહિતી મુજબ, કાંતિનગરમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા આસિફભાઈ રજાકભાઈ કોલીયા ઓછા ભાડામાં પેસેન્જરોને રિક્ષામાં બેસાડતા હતા. આ બાબતને લઈને આરોપી સલીમ ગુલામભાઈ કાદર અને હાજી ગુલામભાઈ કાદરે તેમની સાથે બોલાચાલી કરી હતી.
બાદમાં મામલો ઉગ્ર બનતા બંને આરોપીઓએ રિક્ષાચાલક આસિફભાઈ પર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. એટલું જ નહીં, હુમલા બાદ બંનેએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે આસિફભાઈ કોલીયાએ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં સલીમ ગુલામભાઈ કાદર અને હાજી ગુલામભાઈ કાદર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

