એક તરફ રાજકોટમાં સ્માર્ટ શિક્ષણના દાવા કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આંગણવાડીઓની વરવી વાસ્તવિકતા પણ સામે આવી રહી છે. રાજકોટ જિલ્લામાં કુલ 1360 પૈકી 90 જેટલી આંગણવાડીઓ જર્જરીત હાલતમાં છે. જિલ્લા પંચાયતના સત્તાધિશો દ્વારા હજુ તો સ્માર્ટ આંગણવાડી શરૂ કરવાની કવાયત પણ કરાઈ રહી છે. પણ કુચિયાદળ ગામમાં આવેલી આંગણવાડી ખંડેર હાલતમાં છે. જેમાં ભણતા 300 જેટલા ઉપર ભુલકાઓ ઉપર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે.

રાજકોટ જિલ્લાના કુચિયાદળ ગામની આંગણવાડીની હાલત ખંડેર મકાન કરતા પણ ખરાબ છે. આ જર્જરિત આંગણવાડીમાં ગામના 300 બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. અહીં છત પર જર્જરીત લોખંડના તાર કટાયેલા દેખાઈ રહ્યા છે.પોપડા પડેલા છે.જો એકપણ પ્લાસ્ટરનું પોપડું બાળક પર પડયું તો સમજવું કે દુર્ઘટના ઘટી.

તેમ છતાં અહીં બાળકો ભણવા માટે મજબૂર છે. લાઈટના પોલ માંથી પાણી ટપકી રહ્યું છે. રૂમનું બાંધકામ ડેમેજ હાલતમાં પહોંચી ગયું છે. મોટા ગાબડાઓ પડેલી છત અને તેમાં પણ સિમેન્ટ તથા કોન્ક્રીટનો ભાગ ઉખડી ગયો છે. જેને પગલે સ્થાનિકો દ્વારા આ જર્જરિત આંગણવાડીને વહેલી તકે રીપેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

