પીએસઆઈની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ ભરતી પ્રક્રિયા વિવાદમાં આવી છે. કેટેગરી પ્રમાણે ભરતીની માગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ છે. 100થી વધારે ઉમેદવારોએ સાથે મળીને પરિણામને કોર્ટમાં પડકાર્યું છે. જીપીએસસી પેટર્ન પ્રમાણે ભરતી કરવા ઉમેદવારોએ માગ કરી છે. તો આ અંગે હાઈકોર્ટે ભરતી બોર્ડને નોટિસ ફટકારીને 11 મે સુધીમાં જવાબ રજૂ કરવા માટે જણાવ્યું છે.

યુવરાજસિંહ જાડેજાએ પણ ઉમેદવારોનો સપોર્ટ કરતાં કહ્યું છે કે પ્રિલીમનરી પરીક્ષાનું રિઝલ્ટ જે ફાઈનલ પરીક્ષા બાદ જે રીતે પરિણામ બહાર પાડવામાં આવે છે તેવી રીતે પડાયું છે. આથી આ રિઝલ્ટને અમે ચેલેન્જ કરી છે. આ કરવાનું એક જ કારણ છે ઘણા વિદ્યાથીઓ આ પધ્ધતિના રિઝલ્ટથી અન્યાય થયો છે. જીપીએસસી પેટર્ન પ્રમાણે માર્કસનું કાઉન્ટીગ થવું જોઈએ. તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ પહેલા કરી દેવામાં આવે જેથી ગેરલાયક ઉમેદવારો અહીંથી જ આગળની ભરતી પ્રકિયાથી બાકાત રહે.

ગુજરાતના કુલ 312 પરીક્ષા કેન્દ્રો પર 88,880 ઉમેદવારોએ પીએસઆઈની પ્રિલિમનરી પરીક્ષા આપી હતી. ગત 27 એપ્રિલના રોજ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. મુખ્ય પરીક્ષા માટે કુલ 4311 ઉમેદવાર ક્વૉલિફાય થયા છે. જેમાં 2939 પુરુષ ઉમેદવાર ક્વૉલિફાય થયા છે. ઈડબલ્યુએસ કેટેગરીમાં 295 પુરુષ ઉમેદવાર, એસસી કેટેગરીમાં 160 પુરુષ ઉમેદવાર અને એસટી કેટેગરીમાં 420 પુરુષ ઉમેદવાર ક્વૉલિફાય થયા છે. જ્યારે એસઈબીસી કેટેગરીમાં 778 પુરુષ ઉમેદવાર ક્વૉલિફાય થયા છે.

