ભારતી આશ્રમ છોડીને તા.30 એપ્રિલે રાતે વડોદરાથી ગુમ થયેલા હરિહરાનંદબાપુ નાશિકથી મળી આવ્યા છે. ગઈકાલે વડોદરા પોલીસ સમક્ષ હાજર થયા હતા અને જૂનાગઢ જવા રવાના થયા હતા. આ પહેલાં તેઓએ વડોદરા પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો કે અનેક લોકો દ્વારા તેમને ધાકધમકી મળી છે.
વડોદરાના ઝોન–૩ના ડીસીપી યશપાલ જગાણિયાએ મીડિયાને બાપુના સંદર્ભમાં માહિતી આપતાં કહ્યું હતું કે ‘હરિહરાનંદ સ્વામી ૩૦ એપ્રિલે રાતે ગુમ થયા હતા. દરમ્યાન નાશિક પાસેના જવાહર રોડ પર એક બસ-સ્ટેન્ડ પરથી એક અનુયાયીને બાપુ મળી આવ્યા હતા, ત્યાંથી તેમને વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યા હતા. બાપુની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આશ્રમની જમીન બાબતે વિવાદ ચાલતો હતો તેના લીધે તે ખૂબ માનસિક દબાણ અનુભવતા હતા.’

યશપાલ જગાણિયાએ કહ્યું હતું કે ‘તેમણે કહેલું કે અનેક લોકો દ્વારા તેમને ધાકધમકી મળી છે. આ ધાકધમકી કોણે આપી છે તે સ્પષ્ટ જણાવ્યું નથી.’ અમદાવાદ, જૂનાગઢ સહિતનાં સ્થળોએ ભારતી આશ્રમ આવ્યા છે ત્યારે કહેવાય છે કે સત્તા અને સંપત્તિનો આ વિવાદ શરૂ થયો છે જેમાં બાપુને રાજકારણીઓ દ્વારા પણ ધમકી મળી હતી.

