જામકંડોરણાના દડવી ગામે એક માસ પહેલા વૃધ્ધાની લાશ મળી આવી હતી. જેમાં પોલીસે દંપતિની ધરપકડ કરી હતી. આકરી પુછપરછ કરતા દંપતિએ જ વૃધ્ધાની હત્યા કરીને લૂંટ ચલાવી હોવાની કબુલાત આપી હતી. ત્યારબાદ લાશને કુવામાં ફેકી દીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ નાગલબેન દડવી ગામે એકલા રહેતા હતા. ગત તા. 6 એપ્રિલના રોજ ગામના પાદરમાં આવેલા કુવામાંથી તેની લાશ મળી આવી હતી. જે લાશ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવી હતી. નાગલબેનના કાનમાંથી સોનાના બુટીયા મળ્યા ન હતા. અને તેનો મોબાઈલ ફોન પણ ગાયબ હતો.

જે તે વખતે જામકંડોરણા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી હતી. નાગલબેનના મોબાઈલ નંબર સર્વેલન્સમાં રાખી દીધો હતો. જેના આધારે આખરે તેની હત્યા થયાનું બહાર આવ્યું હતું. દડવી ગામમાં જ રહેતા આરોપી ચંદુભાઈ ગોકળ મકવાણાએ પોતાનું સીમકાર્ડ નાગલબેનના લૂંટી લીધેલા ફોનમાં ચડાવતા તેના આધારે પોલીસે તેની પુછપરછ કરતા તેણે એવી કબુલાત આપી હતી કે તેને 30થી 35 હજાર રૂપિયાની જરૂર હતી. પાડોશમાં રહેતા નાગલબેન કાનમાં બુટીયા પહેરતા હોવાથી જો તે મળી જાય તો પોતાની જરૂરીયાત પુરી થઈ શકે તેમ હતી પરીણામે તેણે કાવતરૂ ઘડયું હતું. જે મુજબ તેની પત્ની હંસાબેનને ગત તા.29 માર્ચના રોજ નાગલબેનને પોતાના ઘરે બોલાવવા માટે મોકલ્યા હતા. તે વખતે નાગલબેન જમતા હતા. તેને શાક લેવા માટે કહેવાતા તત્કાળ હંસાબેન સાથે તેના ઘરે આવી ગયા હતા.

નાગલબેન તેના ઘરે આવતાં તેણે પૂર્વયોજીત કાવતરા મુજબ તેને રૂમમાં લઈ જઈ ગળુ દબાવી, ડુમો દઈ દીધો હતો. આ વખતે નાગલબેનને તેની પત્ની હંસાએ મજબુત રીતે પકડી રાખ્યા હતા. થોડીવાર તડફડીયા માર્યા બાદ નાગલબેનનું મૃત્યું નિપજયું હતું. તે સાથે જ તેના કાનમાંથી સોનાના બુટીયા ઉતારી તેનો મોબાઈલ ફોન પણ લઈ લીધો હતો. રાત આખી પોતાના ઘરમાં લાશ રાખ્યા બાદ મધરાત્રે ચાદરમાં લાશ વિંટી પત્ની સાથે મળી તેને ગામના પાદરમાં આવેલા પાણી વગરના કુવામાં ફેંકી આવ્યો હતો. આ ખુલાસાના આધારે એસસી, એસટી સેલના ડીવાયએસપી મહર્ષિ રાવલે મૃતકના પુત્ર ભીખાભાઈ ઉર્ફે ભરતભાઈ ચાવડા (ઉ.વ.54) ની ફરિયાદ પરથી આરોપી દંપતી સામે હત્યા, ગુનાઈત કાવતરૂ, પુરાવાનો નાશ, એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

