ગુજરાત ગૌરવ દિવસે રાજ્ય સરકારના કર્મચારીઓ તથા નિવૃત કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો 1 જુલાઇ 2021ની અસરથી આપવાનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ મર્યાદિત કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી કુલ 9.38 લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે. જે દસ મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય છે, તે બે હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ હપ્તો મે-2022ના પગાર સાથે અને બીજો હપ્તો જૂન-2022ના પગાર સાથે ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારના ૬ઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે 7 ટકાનો વધારો 1 જુલાઇ 2021ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણયના પરિણામે મોંઘવારી ભથ્થાના તફાવતનું 10 માસનું જે એરિયર્સ કર્મચારીઓને ચૂકવવાનું થાય છે, તે બે હપ્તામાં ચૂકવવામાં આવશે.

