રાજ્યના મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા રાજકોટની મુલાકાતે આવ્યા હતા. જ્યારે મીડિયા એમને હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ અંગે સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, હાર્દિક કે નરેશ પટેલ મામલે મને નથી ખબર, હું કોઈ જ્યોતિષ નથી. જેમને જ્યાં જવું હોય ત્યાં જાય ભાજપ પક્ષ જ એવો છે જેના બધા નેતા વખાણ કરે છે. હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ પક્ષની નેતાગીરીથી નારાજ છે.
હાલમાં તે કોંગ્રેસના કાર્યકારી અઘ્યક્ષ પણ છે. દિલ્હી હાઈકમાન્ડ સાથે મુલાકાત બાદ અચાનક ભાજપની ગુડ બુકના ગીત ગાતા સંકેત વર્તાયા હતા કે, તે ભાજપમાં જઈ રહ્યા છે. પણ પછી એવી ચોખવટ કરી હતી કે, ભાજપમાં જવાનો નથી. ભાજપની લીડરશીપમાં નિર્ણય લેવાની તાકાત છે. આવું હું કોંગ્રેસથી નારાજ છું એટલે નથી બોલતો. આવું કોંગ્રેસના લોકો પણ કહે છે. આ કારણે કોંગ્રેસને મોટું નુકસાન પણ થાય છે. એની સામે ભાજપ જીતે છે. કોંગ્રેસ પક્ષથી હાર્દિક થોડા સમયથી અસંતોષના ભાવ વ્યક્ત કરે છે. ભાજપના ગુણગાન ગાય છે. ભાજપમાં હાર્દિક પટેલ ન જાય એટલા માટે કોંગ્રેસમાંથી મહાસચીવ પ્રિયંકા ગાંધી અને કે.સી. વેણુગોપાલ મેદાને ઊતર્યા હોવાના વાવડ છે. જોકે, રૂપાલાની રાજકોટમાં આવી સરપ્રાઈઝ મુલાકાતને રાજકીય દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. ભાજપની ટોપી પહેરીને આવેલા કેન્દ્રીય મંત્રીએ મીડિયા સમક્ષ તીખો અંદાજ વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ જ્યોતિષનું કામ હું નથી કરતો. જ્યારે મંત્રીને પૂછવામાં આવ્યું કે, હાર્દિક પટેલે ભાજપના વખાણ કર્યા છે. ત્યારે મંત્રી બોલ્યા કે, ભાજપ છે જ એવું. ભારતીય જનતા પાર્ટી વખાણવા જેવી પાર્ટી છે. આવા જ્યોતિષવાળા કાર્યક્રમથી મને દૂર રાખો.

હું કોઈ જ્યોતિષ વિદ્યાનો જાણકાર નથી. જ્યારે એમના વિભાગની વાત કરવા અંગે મીડિયાએ સવાલ કર્યો ત્યારે તેમણે ધન્યવાદ કરીને ચાલવા માંડ્યું હતું. જોકે, જ્યારે પણ રૂપાલા ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે એમનો એક તીખો અંદાજ જોવા મળ્યો છે. આ પહેલા તેમણે અમરેલીમાં દૂધમાં થતી ભેળસેળ અંગે ખખડાવ્યા હતા. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, દૂધમાં ભેળસેળ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનને વગોવવાનું કાવતરુ ઘડાઈ રહ્યું છે.

