ટુંકાગાળામાં દુનિયાના ધનિકોની યાદીમાં સ્થાન મેળવનાર અને ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીએ દેશની અગ્રણી મરીન કંપનીની ખરીદી લીધી છે. ગૌતમ અદાણીની આગેવાની હેઠળની ગ્રૂપ કંપની અદાણી પોર્ટ્સે ઓસન સ્પાર્કલ લિમિટેડના હસ્તાંતરણની જાહેરાત બાદ અદાણી કંપનીએ ઓસન સ્પાર્કલ લિમિટેેડને હસ્તગત કરી છે.

અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.ની સામુદ્રિક માલ પરિવહન સેવાને વૈશ્વિક સ્તરે સંગીન બનાવવાની મહત્વાકાંક્ષામાં એક પ્રચંડ પીઠબળ બની રહેવા સક્ષમ એવી ભારતની અગ્રણી થર્ડ પાર્ટી સામુદ્રિક સેવાઓ પુરી પાડતી ઓસન સ્પાર્કલ લિમિટેડ (OSL)ને અદાણી પોર્ટસ એન્ડ સેઝએ પોતાની પેટા કંપની ધ અદાણી હાર્બર સર્વિસીઝ મારફત હસ્તગત કરવા માટે આ કંપનીનો ૧૦૦ ટકા હિસ્સો સંપાદન કરવા સુનિશ્ચિત કરાર કર્યા છે.

આ કંપનીના મુખ્ય કામકાજમાં ટોવેજ, પાઇલોટેજ અને ડ્રેઝીંગની સેવાઓનો સમાવેશ થાય છે.૯૪ જહાજોની માલિકીનો જંગી કાફલો ધરાવતી કંપનીની મિલ્કતો ઉપરાંત ત્રિપક્ષી માલિકીના ૧૩ જહાજો સાથે ઓસન સ્પાર્કલ લિ. માર્કેટ લિડર છે. રુપિયા ૧૭૦૦ કરોડની એન્ટરપ્રાઇઝ વેલ્યુ સાથે ઓએસએલ રુ.૩૦૦ કરોડની મૂક્ત રોકડ ધરાવે છે. ૧૯૯૫માં મરીન ટેકનોક્રેટ્સના ગૃપ દ્વારા પી.જયકુમારના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરપદ હેઠળ સ્થાપવામાં આવેલ આ કંપની સૂચિત વ્યવસ્થા અનુસાર પી.જયકુમાર ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કંપનીના બોર્ડમાં ચાલુ રહેશે.

અદાણી પોર્ટસ એન્ડ સેઝના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણકાલિન ડાયરેકટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે ઓએસએલ અને અદાણી હાર્બર સર્વિસીઝ વચ્ચેના આ મજબૂત સહયોગને ધ્યાને લેતાં માર્જીનમાં સુધારા સાથે એકીકૃત બિઝનેસ પાંચ વર્ષમાં બમણો થવાની વિપુલ સંભાવના છે, પરિણામે અદાણી પોર્ટસ એન્ડ સેઝના શેરધારકોની મૂડીના નોંધપાત્ર મૂલ્યનું સર્જન થશે. આવનારા સમયમાં આ હસ્તાંતરણ એપીએસઇઝેડના ભારતીય મરીન સેવાના ક્ષેત્રમાં ફક્ત નોંધપાત્ર હિસ્સો પૂરો પાડશે એટલું જ નહી પરંતુ અમોને અન્ય દેશોમાં અમારી સેવાઓની હાજરીનું નિર્માણ કરવા માટે એક સમર્થ પ્લેટફોર્મ પુરુ પાડશે. આમ ૨૦૩૦ સુધીમાં દુનિયાના વિરાટ પોર્ટ ઓપરેટર બનવા તેમજ ભારતમાં સૌથી મોટા સંકલિત જળ માર્ગના પરિવહન તરફની અદાણી પોર્ટ્સ એન્ડ સેઝની સફરના માર્ગને પ્રચંડ પીઠબળ પુરું પાડશે. એવો આશાવાદ કરણ અદાણીએ વ્યક્ત કર્યો છે.

ઓસન સર્વસીઝ લિમિટેડ હાલના તેમના ગ્રાહકો સાથે પાંચથી ૨૦ વર્ષ સુધીના લાંબા ગાળાના કરારો ધરાવે છે.( કરારનો સરેરાશ સમયગાળો ૭ વર્ષનો છે) વધુમાં આ કરારો ટેક ઓર પે (TOPA) આધારીત હોવાથી ઓએસએલ કંપનીના બિઝનેસ મોડેલને મજબૂતાઇ બક્ષે છે. આ કંપનીની મોજુદગી દેશના તમામ મહાબંદરો, ૧૫ માઇનોર બંદર અને ૩ એલએનજી ટર્મિનલ ઉપર છે. આટલા વરસોમાં ઓએસએલએ ભારતભરમાં ૧૮૦૦ કર્મચારીઓના કાફલાને કામે લગાડ્યો છે. ઓમાન, સાઉદી અરેબિઆ, શ્રીલંકા, કતાર યેમેન અને આફ્રિકામાં મેરીટાઇમ સેવાઓ પૂરી પાડતા રહીને કંપની વૈશ્વિક અનુભવનું ભરપૂર ભાથું ધરાવે છે.

