ઉનાળામાં પાણીની સમસ્યા રાજકોટમાં વિકટરૂપ ધારણ કરે છે. કિશાનપરા વિસ્તારમાં સ્થાનિકોના ઘરે પીવાના પાણીમાંથી ઈયળ અને અળસીયા નીકળતા હોબાળો મચી ગયો છે. આ મુદ્દે મનપાની ટીમે ઘટનાસ્થળે પહોંચીને પાણીનું ચેકીંગ પણ હાથ ધર્યું છે.

મનપા દ્વારા પાણીચોરી અને બગાડ સામે ચેકીંગની કડક ચલાવવામાં આવી રહી છે. ત્યારે દૂષિત પાણીનો પ્રશ્ન કોર્પોરેશનનું તંત્ર ઉકેલી શક્યુ નથી. જેને પગલે સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ રહી છે. ગુજરાત કે ગુજરાત બહાર પણ રાજકોટ એટલે પાણીની અછત વાળું શહેર એવી ઓળખ ભૂતકાળમાં દાયકાઓ સુધી રહી. હજુ પણ સ્થિતિ વખાણવા લાયક તો નથી જ તેવું આ ઘટના પરથી સમજી શકાય છે. પાણીના આયોજન સંદર્ભે કોર્પોરેશનનું તંત્ર સદંતર નિષ્ફળ નિવડ્યુ હોય તેવી ચર્ચાઓ સ્થાનિકો કરી રહ્યા છે. પાણી ઓછું આવવું તે રાજકોટની જનતાની વર્ષો જૂની સમસ્યા છે. પરંતુ હવે તો પાણી પીળા રંગનું અને જીવાત વાળું આવી રહ્યું છે.

