રવિવારે વનરક્ષકની 344 જગ્યાઓ માટે લેવાયેલી પરીક્ષામાં મહેસાણામાંથી ગેરનીતિ ઝડપાતા હવે એને રાજકીય રંગ લાગી રહ્યા છે. પેપર ફૂટવા મામલે હવે ભાજપ યોગ્ય પગલાં નહી લે આમ આદમી પાર્ટી ઉગ્ર આંદોલન કરશે. એવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે. બીજી બાજું રાજ્યમાં શાળાઓની સ્થિતિ મામલે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સાથે ગામડાંની શાળાઓમાં જવા માટેની ચેલેન્જ આપી છે.
આ સાથે એક એવો પણ દાવો કર્યો હતો કે, રાજ્યમાં 500 જેટલી એવી શાળાઓ છે. જ્યાં કોઈ ઓરડા નથી. ઓરડા છે તો સારા નથી. પેપર ફૂટ્યું નથી કોપી કેસ થયો છે એવી વાત ભાજપના મંત્રી કરે છે. આ વાહિયાત વાતો છે. રાજ્યમાં વારંવાર બનતી આવી ઘટના ખરા અર્થમાં યુવાનોનું અપમાન છે. પેપરલીક મામલે યુવરાજસિંહે પુરાવાઓ આપ્યા છે. સાથ આપવાના બદલે ભાજપ પ્રવક્તા સામે જવાબ આપવો નહીં એવું જાહેર કરે છે. તો પછી પ્રવક્તા જવાબ આપવાથી કેમ ભાગી રહ્યા છે. એવું લાગે છે કે દાળમાં કંઈક કાળું નહીં પણ આખે આખી દાળ જ કાળી છે.

સ્પર્ધાત્મક પરીક્ષાના 10થી 11 પેપર ફૂટ્યા છે. પણ આમ આદમી પાર્ટી વચન આપે છે કે, પેપર કઈ રીતે લેવું એ અણે શીખવાડીએ. નિવૃત જજ સાથે આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવે. આવી કોઈ ઘટનાઓમાં ભાજપ યોગ્ય પગલાં નહીં લે તો આમ આદમી પાર્ટી ઉગ્ર આંદોલન કરશે. વિધાનસભામાં તમે સ્વીકાર્યું છે કે, 700 સ્કૂલ એક શિક્ષકોથી ચાલે છે. હું જીતુ વાઘાણીને દિલ્હીની સ્કૂલમાં આવવા માટેનું આમંત્રણ આપું છું.
દિલ્હી એરપોર્ટ પર આપનું સ્વાગત કરીશુ. અન્યથા મનીષ સિસોદિયાને અહીં બોલાવો. તમે કહો એ રીતે ગામડાંઓમાં જઈએ. 500 સ્કૂલ એવી છે જ્યાં ક્લાસરૂમ સારા નથી. હું આપને બતાવીશ. એવું હોય તો આ ચેલેન્જ સ્વીકારો. રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લેવાય એ પહેલા જ ફૂટી જાય છે. આ ઘટના સામાન્ય બની રહી છે. જોકે, આ આખી ઘટનામાં નાગરિક મંડળના લેટર પેડ પર પ્રશ્નપત્રના જવાબો ફરતા થઇ ગયા હતાં. તો નાગરિક મંડળના લેટરપેડ આવ્યા ક્યાંથી આ પ્રશ્ન રવિવારથી ચર્ચામાં છે. ચોક્કસ વિદ્યાર્થીને પાસ કરાવવા માટે આ સમગ્ર કાવતરૂ રચાયું હતું. જેમાં ઉનાવા ગામે આવેલ મીરા દાતાર સર્વોદય હાઈસ્કૂલ સેન્ટર મુખ્ય રહ્યું છે.

