ગુજરાતના કોઈ પણ જિલ્લામાં રસ્તે રખડતા ઢોરનો ત્રાસ ક્યારેક જીવલેણ પુરવાર થાય છે. સ્માર્ટસિટીની વાત વચ્ચે વાસ્તવિકતા એવી છે કે, મસમોટા દાવા કરતું તંત્ર રસ્તે રખડતા ઢોરની સમસ્યા ઉકેલી શક્યું નથી. રાજકોટમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મંગળવારની રાત્રે મેયરના વૉર્ડ નં.12ની બાજુમાં વૉર્ડ નં.11માં મવડી વિસ્તારમાં રખડતાં ઢોરે એક વૃદ્ધનો ભોગ લીધો છે. મવડીમાં વિશ્વેશ્વર મહાદેવના મંદિર પાસે રોડ પર બે આખલા લડતાં લડતાં બાજુના રોડ પર આવી બાઈક પર બેઠેલા વૃદ્ધને અડફેટે લીધા હતા.

આખલા બાઈક પર પડતા વૃદ્ધા અને અન્ય વેપારી પણ પટકાયા હતા. બંનેને ગંભીર ઈજા થતા યુદ્ધના ધોરણે હોસ્પિટલ સારવાર હેતું ખસેડાયા હતા. પણ ટૂંકી સારવાર બાદ વૃદ્ધાનું મોત નીપજ્યું છે. રાજકોટમાં જ્યારે પ્રદેશ પ્રમુખ આવ્યા ત્યારે પણ તેમણે તંત્રને એવી ટકોર કરી હતી કે રખડતા ઢોરનો ઉકેલ લાવવામાં આવે. પણ કોર્પોરેશનનું વલણ ઉદાસ હોવાનું ચર્ચામાં છે. મંગળવારની રાત્રે 35 વર્ષીના કમલભાઈ ભરતભાઇ પટોડિયા અને 65 વર્ષીના વિનુભાઈ કેશુભાઈ મકવાણા ચણિયાચોળીનું પાર્સલ દેવા માટે મવડી વિસ્તાર બાજુ જતા હતા. એ સમયે વિશ્વેશ્વર મહાદેવના મંદિર નજીક સામેના રોડ પર બે આખલા વચ્ચે લડાઈ ચાલું હતી. પણ અચાનક બંને લડતાં લડતાં આ બાજુના રોડ પર ધસી આવ્યા હતા. પછી બાઇક પર બેઠેલા વિનુભાઈ અને કમલભાઇને અડફેટે લીધા હતા. ટૂંકી સારવાર બાદ વિનુભાઈનું મોત થયું છે. જે પોતાની દીકરી ગીતાબેનની બાજુમાં જ એકલા રહેતા હોવાનું જાણવા મળે છે. હાલ મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરાઈ છે.

એમના પરિવારના સભ્ય વલ્લભભાઈ કહ્યું કે, કામ આપીને પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં આ ઘટના બની છે. તેથી સ્વબચાવ માટે બાઇક પર ઊભા રહી ગયા હતા. પણ એવી ક્યાં ખબર હતી કે આખલા બાઈકને પણ અડફેટે લેશે. આ સાઇડ ઊભા રહેલા અમારાં સ્વજન પર બંને આખલા પડ્યા હતા. જેમાં વિનુભાઈનું ટૂંકી સારવાર બાદ નિધન થયું છે. જ્યારે કમલભાઈની પાંસળીઓ તૂટી ગઈ છે. ગાય તો બે ઢીંક મારીને મૂકી દેશે, પણ આખલા મૂકશે નહીં. મારે બસ અધિકારીઓને એટલું જ કહેવું છે. આખલા એટલા ખારના ખાધેલા હોવાથી તમે તેને ગમે તેમ કરો પણ છૂટા ન પડે. આ પ્રકારના ઢોરને પકડીને વ્યવસ્થિત રીતે બીજી અન્ય જગ્યાએ મૂકો. જેથી કરીને શહેરમાં અન્ય લોકોના જીવ બચે. જોકે, હકીકત એવી પણ છે કે, ઘણી વખત રખડતા ઢોરને કારણે લાંબા સમય સુધી ટ્રાફિક જામ થઈ જાય છે. આવી મુશ્કેલીનો ઉકેલ લાવવો અનિવાર્ય છે.

