વિધાનસભાની ચૂંટણી પહેલા દરેક જ્ઞાતિઓની બેઠક અને સંમેલન યોજાઈ રહ્યા છે. રાજકીય રીતે પોતાનું અસ્તિત્વ અને સમાજનું મહત્ત્વ દેખડવા માટે જ્ઞાતિના આગેવાનોની બેઠકનો ધમધમાટ ચાલું થઈ ગયો છે. પહેલા પટેલ સમાજ બાદ હવે કોળી સમાજની બેઠક યોજાઈ હતી. દરેક જ્ઞાતિનો સમાજ એક પ્રકારનું શક્તિ પ્રદર્શન કરી રહ્યો છે. એવા સમયે રાજકોટમાં રવિવારે કોળી સમાજનું સંમેલન યોજાયું હતું. જેમાં પૂર્વમંત્રી કુંવરજી બાવળીયાને કોઈ આમંત્રણ અપાયું ન હતું.
જ્યારે પૂર્વ સાંસદ દેવજી ફતેપરાની પણ બાકબાકી કરી નાંખી હોય એ વાત સામે આવી છે. રાજકીય રીતે સમાજમાં ફાટા પાડતા લોકોને આ સમંલેનથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો. રાજકોટમાં યોજાયેલી બેઠકમાં સમાજના જે શોષિત, વંચિતો, પીડિતો છે એમને યોગ્ય રીતે ન્યાય મળે, આર્થિક સ્તરે સુધારો આવે એ માટેની એક બેઠક યોજાઈ હતી. હવે આ બેઠકમાંથી શું નિર્ણય સામે આવે છે એના પર સૌની નજર રહેલી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા સામાજિક સંગઠનો સક્રિય થઈ રહ્યા છે. એવામાં રાજકોટમાં પાટીદાર સમાજની બેઠક બાદ હવે કોળી સમાજની બેઠકને પણ રાજકીય દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. જેમાં ટિકિટ અને રાજકીય મુદ્દાઓ પર ચર્ચા થવાની પૂરી શક્યતાઓ છે. પણ સૌથી મોટી અને ખાસ વાત એ રહી હતી કે, આ બેઠકમાં ન તો કુંવરજી બાવળીયાને આમંત્રણ હતું કે, ન તો દેવજી ફતેપરાને. જ્યારે આ અંગે કુંવરજી બાવળીયાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પણ એ વાત સ્વીકારી હતી કે, મને આમંત્રણ આપવામાં આવ્યું નથી.

તેમણે એ વાત પણ સ્વીકાર હતી કે, મને આ સંમેલન વિશે કોઈ પ્રકારની જાણકારી નથી. જો આ કોઈ બિનરાજકીય કાર્યક્રમ હોય તો મને આમંત્રણ આપવામાં આવ્યું ન પણ હોય. આ સિવાય હું પણ મારા કાર્યક્રમમાં વ્યસ્ત છું. એવું બાવળીયાએ ચોખવટ કરતા કહ્યું છે. જોકે, આ પહેલા પણ બાવળીયા ચૂંટણી લડવા માટેની પોતાની તૈયારી અને પદ માટેની ઈચ્છાશક્તિની વાત કહી ચૂક્યા છે. પણ જોવાનું એ રહે છે કે, પક્ષ એમને ફરીથી ચાન્સ આપે છે કે નહીં. પણ આ પ્રકારના સંમેલનમાં એમની અને દેવજી ફતેપરાની બાકબાકીને રાજકીય રીતે સૂચક માનવામાં આવે છે.

