વડોદારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર એવા પાદરા તાલુકાના માસર રોડ આઉટ પોલીસ ચોકીમાં ડ્યૂટી કરતા પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. આ મામલે મહિલાના ભાઈએ એવો આરોપ મૂક્યો છે કે, આ કોઈ આત્મહત્યા નથી પણ મર્ડર છે. આ અંગેની રજૂઆત તેણે વડોદરા Dyspને કરી છે. આ બહેનના મોત અંગે તટસ્થ તપાસ કરવા ઉચ્ચ પોલીસ અધિકારી સામે માંગ કરી છે.

જોકે, આ કેસમાં વડુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મૂળ ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના હડમસીયા ગામે રહેતા અંકિતાબેન અપાર્થી (ઉ.વ.25)ના લગ્ન છ વર્ષ પહેલા પાદરા ગામે રહેતા ચિરાગ સાથે થયા હતા. લગ્ન બાદ અંકિતા સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્ન પછી અંકિતા અને ચિરાગને ત્યાં પારણું બંધાતા બાળકીનો જન્મ થયો હતો. છ વર્ષના લગ્ન જીવન બાદ અચાનક અંકિતાએ પંખે લટકીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. જેના કારણે જિલ્લા પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ હતી. પત્નીએ ગળે ફાંસો ખાઈ લેતા પતિ ચિરાગ હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. સમગ્ર કેસની જાણ માસર પોલીસને થતા પોલીસ ટુકડી સ્થળ પર દોડી ગઈ હતી. આ સાથે વડુ પોલીસની ટીમ પણ તાપસ હેતું પહોંચી હતી. સમગ્ર ઘટનાની જાણ દીકરીના પરિવારને કરાતા ભાઈ રવિ સહિત પરિવારજનો દોડી આવ્યા હતા. ભાઈએ ઉચ્ચ પોલીસ અધિકારી સાથે મુલાકાત કરી અંકિતાના પતિ સહિત પરિવારજનો સામે રોષ વ્યક્ત કર્યો છે. અંકિતાના પરિવારજનોએ એનું પોસ્ટમોર્ટમ પેનલ તબીબો તરફથી થાય એવી માંગ કરી છે.

આ ઉપરાંત અંકિતાને ન્યાય મળે એવી પણ રજૂઆત કરી છે. મૃતકના ભાઈ રવિએ એવો આક્ષેપ કર્યો કે, જ્યારેથી અંકિતના લગ્ન થયા ત્યારથી પતિ ચિરાગ ત્રાસ આપી રહ્યો હતો. તેમણે પતિ તથા સાસરિયાના ત્રાસથી આત્મહત્યા કરી લીધી છે. પણ આ કોઈ આત્મહત્યા નથી પણ એની હત્યા કરી દેવામાં આવી છે. જોકે, અંકિતાનો મૃતદેહ વડુ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ ચિરાગગીરીના પત્ની અંકિતાબેને અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો હોવાનું નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ કોસ્ટેબલ ચિરાગ હોસ્પિટલમાં દાખલ થઈને નાટક કરતો હોવાનું પિયર પક્ષે આક્ષેપ પણ કર્યો છે.

