રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે તપાસ બાદ કુલ 26 દિવસ પછી પગલાં લેવામાં આવ્યા છે. જ્યારે આ કમિશન કાંડમાં જોડાયેલા ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રાજકોટના પોલીસ ઉચ્ચ અધિકારી મનોજ અગ્રવાલની જૂનાગઢ ટ્રાંસફર કરી દેવામાં આવી છે. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ટ્રેનિંગ સેન્ટર ખાતે બદલી કરાઈ છે. જિલ્લા પોલીસવડાની પરવાનગી વગર હવે તેઓ જૂનાગઢ છોડી શકશે નહીં.

આ ઉપરાંત અપ્રમાણસર મિલકત અંગે પણ કાયદેસરની તપાસ શરૂ થશે. મનોજ અગ્રવાલ સાથે કમિશનકાંડમાં રહેલા ઇન્સ્પેક્ટર સબ-ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે કમિશનર તોડબાજી કરતા હોવાનો લેટરબોંબ ફોડ્યા બાદ ગૃહમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા. આ પછી તપાસ શરૂ થતા ગાંધીનગર CID ટીમે રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં ધામા નાંખ્યા હતા. તોડકાંડ મામલે ઘેરાયા બાદ રાજ્ય સરકાર તરફથી તાત્કાલિક તપાસ કમિટી નીમી વ્યક્તગત તપાસ શરૂ કરાઈ હતી. IPS વિકાસ સહાયની અધ્યક્ષતામાં બનેલી કમિટીએ તપાસ અંગે 200 પાનાનો રીપોર્ટ ગૃહવિભાગને રજૂ કર્યો હતો. એ પછી તા.1 માર્ચના રોજ મનોજ અગ્રવાલની બદલી કરી દેવામાં આવી હતી. તા. 10 ફેબ્રુઆરીના રોજ મનોજ અગ્રવાલની ગાંધીનગર ખાતેથી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં રૂ.75 લાખ રૂપિયાની કટકી માટે વિકાસ સહાય તરફથી પૂછપરછ કરાઈ હતી. એ પછી હવે મનોજ અગ્રવાલની બદલી કરી દેવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશનરની ખાલી પડેલી જગ્યાઓ માટે વધારાનો હવાલો અન્ય હુકમ ન થાય ત્યાં સુધી ખુરશીદ અહેમદને સોંપાયો છે.

તેઓ સ્પેશિયલ કમિશનર વહીવટ, ટ્રાફિક તથા ક્રાઈમને હાલની ફરજ ઉપરાંત અન્ય હુકમ ન થાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી ચાર્જ સોંપાવમાં આવ્યો છે. જોકે, તપાસનો સમયગાળો લંબાતા એવું લાગી રહ્યું હતું કે, કોઈ પગલાં નહીં લેવાય. પણ રાજકોટ ક્રાઈમ બ્રાંચના તત્કાલિન PI વિરલ ગઢવી અને PSI એસ.બી.સાખરા તથા કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જોકે, આ લેટરબોંબ સામે આવ્યા બાદ રાજકોટ પોલીસ સામે ફરિયાદનો રાફડો ફાટ્યો હતો.

