વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત રાજ્યમાં ફરી એકવખત રાજકારણ ગરમાઈ રહ્યું છે. એક બાજું રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે. એવામાં સભ્યોના રાજીનામા પડતા આંતરિક મજબુતી સામે પ્રશ્નો ઊભા થયા છે. જોકે, માત્ર સાબરકાંઠાની વાત નથી સૌરાષ્ટ્રમાં પણ ભાજપ પક્ષમાં આંતરિખ વિખવાદ ઘણીવાર સામે આવ્યો છે. સાબરકાંઠાના તાલોદ નગરપાલિકામાંથી એક સાથે સાત સભ્યોના રાજીનામાની વિગત સામે આવી છે. તાલોદ નગરપાલિકા પ્રમુખ મનફાવે એવો નિર્ણય કરતા હોવાનો ભાજપના જ સભ્યોએ આરોપ મૂક્યો છે.
કેટલાક વોર્ડના વિકાસના કામ નહીં થતા હોવાનો ભાજપના સભ્યોના આક્ષેપ છે. તાલોક નગરપાલિકામાં 17 સભ્યો સાથે ભાજપનું સત્તામાં શાસન છે. તાલોદ ભાજપના સભ્ય બાબુભાઈ પટેલ, અશોક શાહ, ઈશ્વરસિંહ ઝાલાએ રાજીનામું આપી દીધું છે. તાલોદ ભાજપના સભ્ય જશોદબેન ઝાલા, કૌશલ ગજ્જર, પુષ્પાબેન રાઠોડે અને અનિલ ચાંડકે રાજીનામુ આપી દીધું છે. આ કારણે તાલોદ ભાજપમાં ભડકો થયો છે. કુલ સાત સભ્યોએ રાજીનામા આપી દેતા ભાજપમાં ભંગાણ થયું છે. સામાન્ય સભા પૂરી થયા બાદ સાત સભ્યોએ એક સાથે રાજીનામા આપી દીધા હતા. આંતરિખ ડખો ચાલતો હોવાનું નગરપાલિકાના તથા પક્ષના સુત્રોનું કહેવું છે. રાજીનામું આપનારા સાતેય સભ્યો ભાજપમાંથી છે. જોકે, આ મુદ્દે સાતેય સભ્યોએ કોઈ ખાસ સ્પષ્ટતા કરી નથી. ચૂંટણી પહેલા ભાજપમાં આ પ્રકારનું ચિત્ર સામે આવતા પક્ષને પ્રાદેશિક સ્તરે પણ ફટકો પડ્યો છે. જૂનાગઢમાં મેયરની નિમણૂંક બાદ ભાજપમાં વિખવાદ થયો હોવાનું જાણવા મળ્યું છે. જૂનાગઢમાં ગીતાબેન પરમારની વરણી કરવામાં આવી છે. એ પછી ભાજપમાં આંતરિત ડખા શરૂ થયા હતા. આંતરિક રોષ સપાટી પર આવ્યો હતો. એટલું જ નહીં પાંચ કોર્પોરેટરે રાજીનામા આપી દેવાની તૈયારી દેખાડી છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી સહિતના મંડળને પાંચેય કોર્પોરેટરે જાણ કરી છે. જેમાં ચાર દિવસમાં જો નીવડો નહીં આવે તો રાજીનામા આપી દેવાની ચિમકી ઉચ્ચારી છે. પાંચેય કોર્પોરેટરની એવી માંગ છે કે, મેયરનું પદ દલિત સમાજને મળવું જોઈએ. જો એવું નહીં થાય તો વિધાનસભા ચૂંટણીમાં પક્ષને નુકસાન થઈ શકે છે. વૉર્ડ નં.13ના કોર્પોરેટર વાલભાઈ આમછેડા, વોર્ડ નં.15 ના કોર્પોરેટર જીવા સોલંકી, બ્રિજેશાબેન ઘુઘલ, અશોક ચાવડા તથા દીવાળી બેન પરમારે રાજીનામાની ચિમકી ઉચ્ચારી છે. મેયરના નામની જાહેરાત કર્યાના એક દિવસમાં ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે.

