એક બાજુ તંત્ર વેક્સીનેશનના બીજા ડોઝ માટે ખાસ ડ્રાઈવ ચલાવી રહ્યું છે. ઘરે જઈને લોકો વેક્સીન આપવા મહાનગર પાલિકાએ નિર્ણય કર્યો છે. બીજી બાજું સર્ટિફિકેટને લઈ મોટી બેદરકારી સામે આવી છે. ડોઝની માયાજાળ તંત્ર માટે મજક સમાન હોય એવું પુરવાર થયું છે. નવ મહિના પહેલા જે વ્યક્તિ અવસાન પામી હતી. એના નામનું સર્ટિ. પબ્લિશ થયું છે. જે તા.26 જાન્યુઆરીના રોજ જનરેટ થયા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ શહેરના જામનગર રોડ પર કોપરસિટી એપાર્ટમેન્ટમાં રહેતા કુલદિપસિંહ ગોહિલના માતાનું નવ મહિના પહેલા તા.24 એપ્રિલ 2021ના રોજ અવસાન થયું હતું. જેનું નામ હંસાબા પ્રવિણસિંહ ગોહિલ છે. તા.26 જાન્યુઆરીના રોજ બપોરના સમયે તેમણે વેક્સીનનો બીજો ડોઝ લીધા હોવાનો મેસેજ દીકરાના મોબાઈલમાં આવ્યો. જ્યારે આ મેસેજ આવ્યો ત્યારે પરિવારના સૌ કોઈ ચોંકી ગયા હતા. મેસેજમાં આવેલી લીંકને ઓપન કરતા તા.26 જાન્યુઆરીના રોજ લીધા હોવાનું ખુલ્યું. કુલદિપસિંહે જણાવ્યું કે, નવ મહિના પહેલા માતાનું નિધન થયું. તા.26 જાન્યુઆરીના રોજ માતાના નિધનનો મેસેજ આવ્યો. થોડી વાર માટે હું સ્તબ્ધ થઈ ગયો કે, આવું કેમ બને. પછી મેસેજમાં રહેલી લીંક ઓપન કરી. જેમાં વિગત હતી કે, કોવિડની વેક્સીનનો બીજો ડોઝ લઈ લીધો છે. આ જોતા એવું લાગે છે કે, કોરોના અને વેક્સીનના નામે મહાનગર પાલિકા કામ કરવાના બદલે આવી લોલમલોલ ચલાવી રહી છે. ખાલી મોટી મોટી વાતો છે. બાકી બેદરકારી સામે જ છે. જોકે, આવું પહેલી વખત બન્યું નથી. આ પહેલા પણ મૃત વ્યક્તિના નામે વેક્સીનના ડોઝ અપાયા હોવાના સર્ટિ. નીકળ્યા હોવાની વિગત સામે આવે છે.

વેક્સીનેશન 100 ટકા થાય છે એવું પુરવાર કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે કે, ખરા અર્થમાં કોઈ ભૂલ છે. આ પ્રશ્ન રાજકોટની પ્રજામાં ચર્ચામાં છે. કાગળ પર સારી કામગીરી બતાવવા માટે મૃત વ્યક્તિઓના ડેટાનો ઉપયોગ થતો હોય એવું લાગી રહ્યું છે. બીજા ડોઝ માટે ડોર ટું ડોર વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. આ જ રીતે ખોટા ડેટાનો ઉપયોગ કરીને વેક્સીનેશન દેખાડાતું હોય તો બેદરકારી તંત્રની કે આરોગ્ય વિભાગની? આ અગાઉ જ્યારે તંત્રને પૂછવામાં આવ્યું ત્યારે ખો ખો ની પોલીસી સામે આવી હતી.

