બનાસકાંઠામાં થરાદ- ધાનેરા હાઇવે ફરી એકવખત ગોઝારો સાબિત થઈ રહ્યો છે. દિવસે દિવસે આ હાઈવે પર અકસ્માતની સંખ્યામાં વધારો થતો જાય છે. પાવડાસણ પાટિયા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. થરાદ ધાનેરા હાઇવે પર અલ્ટો કાર અને ટ્રેકટર ટ્રોલી વચ્ચે જીવલેણ અકસ્માત થયો છે. જેમાં બે બાળકો સહિત 5 વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે 3થી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયાના વાવડ મળ્યા છે. અકસ્માતના પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
રવિવારે સવારે થરાદ ધાનેરા હાઈવે જોરપુરા પાટિયા પાસે એક અલ્ટો કાર ટ્રેકટર ટ્રોલીની પાછળ ધડાકાભેર ઘૂસી ગઇ હતી. જેના કારણે કાર પડીકું વળી ગઈ હતી. ડ્રાઈવિંગ સીટથી લઈને બોનેટ સુધીનો ભાગનો કાગળની જેમ બુકડો બોલી ગયો હતો. આ અકસ્માત સર્જાતા 5 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ સ્થાનિક પોલીસને થતાં 108 તેમજ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી રાહતની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અકસ્માત અંગે ધાનેરા પોલીસે વધુ તપાસ આદરી છે. પ્રાથમિક માહિતીમાંથી જાણવા મળ્યું છે કે, ખેડાનો એક પરિવાર ભાખડીયાલ જઇ રહ્યો હતો. એ સમયે આ ઘટના બની ગઈ હતી. 4 મૃતકો ભાખડીયાલના અને 1 મૃતક જડિયાલીનો રહેવાસી હતો. હાલ અકસ્માતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૃતકોમાં ગેમરાજી જુમાજી (ઉમર 55 વર્ષ), ટીપુંબેન ભમરજી (ઉંમર 7 3 વર્ષ), શૈલેષભાઇ ભમરાજી (ઉંમર 2 વર્ષ), રમેશભાઈ બળવંતજી (ઉંમર 35 વર્ષ), અશોકભાઈ ઠાકોર જડિયાળીનો સમાવેશ થાય છે.

