રાજકોટ નજીક કોઠારીયા રોડ ઉપર આવેલી સોસાયટીમાં રહેતા અને આરપીએફમાં ફોજદાર તરીકે નોકરી કરતો યુવાન મીટીંગમાં જવાનું કહી ઘરેથી નીકળી ગયા બાદ 15 દિવસ સુધી લાપત્તા બનતા તેમની પત્નીએ આરપીએફના આઈજી અને ડીએસસીના ત્રાસથી ગુમ થયાના ગંભીર આક્ષેપ લગાવ્યો છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કોઠારીયા રોડ ઉપર આવેલા ગુલાબનગરમાં રહેતા અને રેલવે પ્રોટેક્શન ફોર્સમાં ફોજદાર તરીકે નોકરી કરતો યુવાન બલરામ ચૌધરી તા. 6 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યે ઓફિસે મીટીંગમાં જવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો. પરંતુ આજે 15 દિવસ સુધી તે ઘરે પરત નહીં ફરતા તેમની પત્ની અમૃતા ચૌધરીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનના ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.

આ ઉપરાંત તેમણી પત્ની અમૃતા ચૌધરીએ તેમના પતિ આરપીએફના આઈજી પ્રવિણકુમાર અને ડીએસસી પવનકુમાર શ્રીવાસ્તવના ત્રાસથી ગુમ થયાનો ગંભીર આક્ષેપ કરતા ખળભળાટ મચ્યો છે. તેમજ આ બંને અધિકારીઓ સતત નોકરી માટે હેરાન કરીને માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, બલરામ ચૌધરી આ પહેલા પીઆઈ તરીકે ફરજ બજાવતા હતાં. પરંતુ તેમને ઈન્કવાયરી બાદ ચાર્જશીટ આપી ફોજદારીની ફરજ સોંપ્યા બાદ બીજી વખત ચાર્જશીટ આપ્યું હતું.

આ ઉપરાંત બલરામ ચૌધરીએ પોતાના માતા-પિતા માટે તેમના વતન જયપુરમાં મકાન બનાવવા માટે પાંચ વખત રજા માંગી હતી. પરંતુ તેમની રજા મંજૂર નહીં કરીને અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સાથે જો તેમને અથવા તેમના પતિને કે પરિવારના સભ્યો સાથે કોઈ દુર્ઘટના બનશે કે કોઈ અણબનાવ બનશે તો તેમની જવાબદારી આરપીએફના આઈજી અને ડીએસસીની રહેશે તેમ જણાવ્યું છે.

