રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. કોરોનાની ત્રીજી લહેર પીક ઉપર પહોંચી હોવાનું પણ જણાઈ રહ્યું છે. કોરોનાની સીધી અસર શિક્ષણ જગત ઉપર પડી રહી છે. વધતા કોરોના સંક્રમણના પગલે થોડા દિવસ પહેલા જીટીયુએ ઓફલાઈન પરીક્ષા મોકુફ રાખી હતી. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા જીપીએસસીની પરીક્ષા પણ હાલ પુરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરમાં કોરોનાના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યાં છે. કોરોનાના વધતા કેસોના પગલે જીપીએસસી દ્વારા ગુજરાત નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ વર્ગ-2ની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. તેમજ સરકારે આરોગ્ય કર્મચારીઓની રજા પણ રદ્દ કરી નાંખી છે. થોડા દિવસો પહેલા જીટીયુએ આગામી તા. 20 જાન્યુઆરીથી શરૂ થતી યુજી, પીજી, ડિપ્લોમાં સહિતના કોર્સની ઓફલાઈન પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લીધો હતો. હવે આ પરીક્ષા ફેબ્રુઆરીમાં ઓનલાઈન લેવી કે ઓફલાઈન લેવી તે અંગે ચર્ચા વિચારણા કરાઈ રહી છે.

જીટીયુની પરીક્ષા મુદ્દે કુલપતિ ડૉ. નવિન શેઠે જણાવ્યું હતું કે, પરીક્ષા માટેના પેપર સેટ થઈ ગયા છે. હવે ઓનલાઈન પરીક્ષા લેવા માટે અમારી પાસે સમય બચતો નથી. જો કોરોનાનું સંક્રમણ ઘટશે તો ઓફલાઈન પરીક્ષા લેવાશે. નહીંતર ઓનલાઈન પરીક્ષા લેવાશે. ગુજરાત યુનિવર્સિટીમાં જાન્યુઆરી માસમાં કોઈ પરીક્ષા નથી. ફેબ્રુઆરીમાં બીકોમ, બીએ, બીએસસી, એમએ, એમકોમ, એમએસસી સહિતના કોર્સમાં સેમેસ્ટર-1ની પરીક્ષા લેવાનારી છે. ત્યારે આગામી પરીક્ષાઓ વિદ્યાર્થીઓની પસંદગી પ્રમાણે ઓનલાઈન તથા ઓફલાઈન બંને વિકલ્પમાં લેવામાં આવે તેવું નક્કી કરાયું છે. આ અંગેનો વિગતવાર કાર્યક્રમ ટુંક સમયમાં જ જાહેર કરાશે.

