સૌરાષ્ટ્રના છેવાડાના શહેર જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ભરાતી ગુજરી બજારમાં ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટર વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. રાજકીય રીતે બાખડતા પક્ષો જાહેરમાં આવી જતા સમગ્ર જામનગરમાં મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. બે જુદા જુદા પક્ષના કોર્પોરેટર્સ વચ્ચે તકરાર થતા લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસની ટીમ પણ આવી ચૂકી હતી પણ છતાં બંને કોર્પોરેટરે ઝઘડો યથાવત રાખ્યો હતો. આ ઝઘડામાં કોવિડ ગાઈડલાઈન્સ ભૂલાઈ ગઈ હતી. ગાઈડલાઈનનું પાલન કરવાનું કહેતા નેતા નિયમ ભૂલી ગયા હતા.

જાહેરમાં બાખડી પડેલા બંને કોર્પોરેટર જીભાજોડી થતા પોલીસ બોલાવવી પડી હતી. જ્યારે આ તકરાર થઈ ત્યારે ગુજરી બજાર માર્કેટ ભરાઈ ગઈ હતી. ગુજરી બજારથી આસપાસના લોકોમાં કોઈ રીતે સંક્રમણ ફેલાઈ નહીં એ માટે ભાજપના કોર્પોરેટર પૃથ્વીસિંહ ઝાલા એસ્ટેટ વિભાગની ટીમ સાથે દોડી આવ્યા હતા. એ સમયે કોંગ્રેસ કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ ફેરિયાઓની તરફેણમાં બોલતા મામલો ગરમાયો હતો. તેમણે પહેલા ભાજપના કોર્પોરેટર પૃથ્વીસિંહ સાથે રકઝક કરી હતી. ગુજરી બજાર બંધ ન કરવા માટે વાત કરી હતી.

જોકે, બંને વચ્ચેની શાબ્દિક ટપાટપી થતા પોલી બોલાવવી પડી હતી. જોકે, બે કોર્પોટર વચ્ચે ઝઘડો થતા ગુજરી બજારમાં આવેલા વેપારીઓ સહિત આસપાસમાંથી લોકો એકઠા થઈ ગયા હતા. એક બાજુ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યાં ગુજરી બજાર બંધ કરાવવા મુદ્દે બંને કોર્પોરેટર્સ સામસામે આવી ગયા હતા. જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ભરતી ગુજરી બજારમાં કોઈએ માસ્ક પહેર્યા ન હતા. જેના કારણે મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. આ મામલે બંને કોર્પોરેટર વચ્ચે તકરાર થઈ ગઈ હતી. જોકે, બંને કોર્પોરેટર પણ માસ્ક વગરના જોવા મળ્યા છે.

જ્યારે પોલીસ આવી ત્યારે પણ બંનેમાંથી કોઈ કોર્પોરેટરે માસ્ક પહેર્યું ન હતું. પોલીસ આવતા વેપારીઓ વિખેરાઈ ગયા હતા. જોકે, જામનગરની પ્રજામાં સવાલ એ છે કે, જે નેતાઓ ગાઈડલાઈન્સનું પાલન કરાવવા માટે ભાર દઈને અપીલ કરે છે એ જ પક્ષના નેતાઓ જાહેરમાં માસ્ક વગરના જોવા મળે છે. બીજી તરફ રસ્તા પર માસ્ક થોડું નીચું ઊતર્યું હોય તો પણ પોલીસ દંડ ફટકારે છે એવા પોલીસે કોર્પોરેટરને માસ્ક ન પહેરવા બદલ કંઈ કર્યું નથી. ભાજપના કોર્પોરેટરે જ્યારે મીડિયા સમક્ષ આખો મુદ્દો સ્પષ્ટ કર્યો ત્યારે પણ માસ્ક પહેર્યુ ન હતું. એટલે સવાલ એ થાય છે કે, ખરેખર નેતાને ગાઈડલાઈન્સ લાગુ પડે છે કે નહીં? અને પોલીસ પ્રજા અને નેતા વચ્ચે આવો પક્ષપાત શા માટે કરે છે?

