કાતિલ ઠંડીના ધુમ્મસભર્યાં વાતાવરણમાં અકસ્માતની ઘટના બની છે. જેમાં મુસાફરોનો ભોગ લેવાયો છે. ગુજરાતના છોટાઉદેપુરથી મધ્યપ્રદેશના અલીરાજપુર જતી ખાનગી બસ પુલ પરથી ખાબકી હતી. જેમાં 3 મુસાફરોના કમકમાટીભર્યા મોત થયા છે. તેમજ 28 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણમાં આ અકસ્માત બન્યો હતો. જેમાં બસ પુલની રેલિંગ તોડી નીચે પડી હતી. ગુજરાતની સરહદથી માત્ર 5 કિલોમીટર દૂર મધ્ય પચ્રદેશમા આંબા ડબેરી પાસે વહેલી સવારે અકસ્માત બન્યો હતો.

જેના કારણે પુલ પર આસપાસમાંથી લોકો એકઠા થઈ ગયા હતા. ક્રેઈન અને 108ની મદદથી રાહતકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ગાઢ ધુમ્મસને કારણે આ ઘટના બની હોવાની લોકોમાં ચર્ચા છે. ઈજાગ્રસ્તોને અલીરાજપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. બસને કોતરમાંથી બહાર કાઢવા ચાર ચાર જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી.

બસમાં 50 જેટલા મુસાફરો ગુજરાતથી મધ્ય પ્રદેશ બાજું જતા હોવાનું અનુમાન છે. જે લોકોના મોત થયા છે તેમના મૃતદેહને પોલીસે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે અલીરાજપુર જિલ્લાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જોકે, હાલ પ્રાથમિક તપાસમાં બસના ચાલક અને માલિક વિશે કોઈ માહિતી મળી નથી. જીવલેણ અકસ્માત બાદ અલીરાજપુર એસપી અને કલેક્ટર પણ ઘટના સ્થળે યુદ્ધના ધોરણે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુરથી અલીરાજપુર ગેરકાયદેસર રીતે અનેક ખાનગી બસો દોડે છે. જેમાં ખીચોખીચ ભરીને મુસાફરો જતા હોય છે. છેલ્લા પાંચ દિવસથી વહેલી સવારે ધુમ્મસને કારણે અકસ્માત થાય છે. એવામાં આ જીવલેણ અકસ્માતમાં પ્રવાસીઓનો ભોગ લેવાયો હતો.

