ગ્રામ્ય વિસ્તારમાં સબ સલામત અને સુવિધાના દાવા કરતી સરકાર પાયાની સુવિધા તથા રસ્તા અંગે અભિમાન કરતી હોય છે. અનેક વખત એવું બન્યું કે, સરકારના કેટલાક નેતાઓ રસ્તાઓ મુદ્દે બોલે એના કરતા હકીકત સાવ જુદી જ હોય છે. માત્ર હાઈવે કે મહાનગર જ નહીં પણ ગ્રામ્ય વિસ્તાથી મુખ્ય રસ્તા સુધીના માર્ગ પણ બિસ્માર હાલતમાં છે એવું નિરિક્ષણ ભાગ્યે જ કોઈ નેતા કરે છે. ગ્રાઉન્ડ રિયાલિટી ગ્રામ્ય વિસ્તારની સાવ જુદી જ રહી છે. આવી જ એક હકીકત મોરબી પાસે આવેલા ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવી છે.
સૌરાષ્ટ્રના પેરિસણ ગણાતા મોરબીના ગાળા ગામનો પુલ ઘણા સમયથી બંધ છે. તંત્રને અનેક વખત આ રસ્તાના રીપેરિંગ અને ફરી ચાલું કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે. છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. જ્યારે આસપાસના ગામડાંના લોકોને હાલાકી વેઠવી પડે છે. કોઈ એક કે બે નહીં પણ દસ ગામના લોકોને આ રસ્તાને કારણે હાલાકી વેઠવી પડી રહી છે. રસ્તામાં કોઈ અકસ્માત થાય એવી પણ ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત પુલ નીચેથી નદી વહે છે. કોઈ ગંભીર અકસ્માત થાય તો આ નદીમાં કોઈ ખાબકે એ નિશ્ચિત મનાય છે. પણ વિકાસપ્રેમી સરકારને આવા ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ દેખાતા નથી. તંત્ર પણ આવું કોઈ નિરિક્ષણ કરતું નથી. જેથી ભોગવવાનો વારો ગ્રામ્ય વિસ્તારની પ્રજાનો આવે છે

