મોરબી-કચ્છ નેશનલ હાઇવે પર માળીયા મિયાણા નજીક આવેલા પાયક મીઠાના કારખાના પાસે ટ્રકો વચ્ચે થયેલા અકસ્માતમાં એક ટ્રક ચાલકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત અંગે ફરિયાદ નોંધાઈ છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, GJ-39-T-4194 નંબરનો ટ્રક ચલાવતા ઓડિશાના લક્ષણી ગામના રહેવાસી રીલુપ્રધાન અરબિન્દાપ્રધાન વહેલી સવારે નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન તેમણે ટ્રક બેદરકારીપૂર્વક અને વધુ ઝડપે હંકારી આગળ જઈ રહેલા GJ-11-TT-1211 નંબરના ટ્રકના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રક ચાલક રીલુપ્રધાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી કે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે આગળના ટ્રકના ચાલક બળવંતસિંહ ઉમેદસિંહ જાડેજા, રહે. ગરમડી, તા. સાંતલપુર, જિ. પાટણ દ્વારા માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માતની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી અકસ્માતના કારણોની વધુ તપાસ હાથ ધરી છે.

