નવી દિલ્હી, શુક્રવાર
ચૂંટણી પંચ અને કેન્દ્રીય આરોગ્ય સચિવની 27 ડિસેમ્બરે બેઠક યોજાવની સંભાવના છે. સૂત્રોએ આના સંદર્ભે જાણકારી આપી છે. આ બેઠકમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધતા મામલાને જોતા ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીઓના સ્થગિત કરવાની સંભાવનાઓ પર ચર્ચા કરવામાં આવશે.
અલ્હાબાદ હાઈકોર્ટે 23 ડિસેમ્બરે ઓમિક્રોનના વધતા મામલાઓની વચ્ચે ચૂંટણીવાળા રાજ્યમાં રાજકીય રેલીઓ પર રોક લગાવવાનો કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો હતો. જો આ બેઠક યોજાય છે, તો આ ઘણું મહત્વપૂર્ણ હશે અને આગ્રહ પર ચર્ચા થશે. જસ્ટિસ શેખરકુમાર યાદવની ખંડપીઠે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગામી વિધાનસભા ચૂંટણીઓને સ્થગિત કરવા અને રાજકીય રેલીઓ તથા ચૂંટણી અભિયાનોને રોકવા પર વિચારણા કરવા અનુરોધ કર્યો છે. કોર્ટે કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને કહ્યુ હતુ કે જો જીવન છે, તો ચૂંટણી રેલીઓ અને બેઠકો થઈ શકે છે. જીવનનો અધિકાર પણ ભારતીય બંધારણના અનુચ્છેદ-21 હેઠળ આપવામાં આવ્યો છે.
જસ્ટિસ યાદવે કહ્યુ હતુ કે જાન હૈ તો જહાન હૈ. બની શકે તો ચૂંટણી સ્થગિત કરવા પર વિચારણા કરો. કારણ કે રેલીઓ અને બેઠક બાદમાં થઈ શકે છે, જ્યારે આપણે સૌ જીવિત રહીશું. કોર્ટે કેન્દ્ર સરકારને કોરોનાની બીજી લહેરની પણ યાદ અપાવી, જેમાં દેશભરમાં ભારતીયોના જીવન પર વિનાશકારી પ્રભાવ પડયો હતો. એમ કહેતા કે ફેબ્રુઆરી, 2022માં યોજાનારી ચૂંટણીઓને સ્થગિત કરી શકાય છે, કોર્ટે કહ્યું છે કે યુપીમાં પંચાયતની ચૂંટણી અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓએ પણ કોરોનાના સંક્રમણમાં વધારામાં યોગદાન આપ્યું હતું. કોર્ટે દેશમાં કોરોના સામે નિશુલ્ક રસીકરણની દિશામાં કેન્દ્ર સરકારની પહેલ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા પણ કરી છે. કોર્ટે કહ્યું છે કે તે (પીએમ) પ્રશંસનીય છે. કોર્ટ તેમની પ્રશંસા કરે છે અને વડાપ્રધાનને આ ભયાનક મહામારીની સ્થિતિને જોતા કડક પગલા ભરવાનો અનુરોધ પણ કરે છે. રેલીઓ, બેઠકો અને આગામી ચૂંટણીને રોકવા અને સ્થગિત કરવા પર વિચારણા કરે.

