નવી દિલ્હી, બુધવાર
બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ વનડેની કેપ્ટનશીપથી હટાવવામાં આવ્યો તે અંગે વાત કરી. રોહિત શર્મા અને વનડેની કેપ્ટનશિપને લઈને જે પણ વિવાદ ચાલી રહ્યો હતો, વિરાટ કોહલીએ તે તમામ મુદ્દાઓના જવાબો આપ્યા. કોહલીએ સ્પષ્ટ કર્યું કે તેને ટેસ્ટ ટીમની પસંદગીની બેઠક દરમિયાન જાણ કરવામાં આવી હતી કે તે હવે ODI ટીમની કેપ્ટનશીપ નહીં કરે.
પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ કહ્યું, ‘8 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ટેસ્ટ શ્રેણી માટેની ટીમની પસંદગી થવાની હતી, મીટિંગના દોઢ કલાક પહેલા મારો સંપર્ક કરવામાં આવ્યો હતો. ટી-20ની કેપ્ટનશીપ છોડ્યા બાદ મેં કોઈની સાથે વાત નથી કરી. વિરાટ કોહલીએ કહ્યું, ‘મુખ્ય પસંદગીકારોએ મારી સાથે ટેસ્ટ ટીમ વિશે વાત કરી, જેમાં બંને પક્ષો સહમત થયા. કૉલ સમાપ્ત કરતા પહેલા, પાંચ પસંદગીકારોએ મને કહ્યું કે તમે હવે ODI ટીમના કેપ્ટન નહીં રહે. જેના પર મેં ઓકે, ફાઈન કહીને જવાબ આપ્યો. પ્રેસ કોન્ફરન્સમાં કોહલીએ જણાવ્યું કે આ મુદ્દે થોડીવાર ચર્ચા થઈ અને પછી ફોન કટ થઈ ગયો. વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં ટી-20ની કેપ્ટન્સી છોડવાની વાત પણ કરી હતી. વિરાટે કહ્યું કે જ્યારે મેં T20 ફોર્મેટની કેપ્ટન્સી છોડવાનો નિર્ણય કર્યો ત્યારે મેં સૌથી પહેલા BCCIને જાણ કરી. એ વાતને સકારાત્મક રીતે લેવામાં આવી હતી, કોઈને કોઈ તકલીફ નહોતી. વિરાટે કહ્યું કે મને કહેવામાં આવ્યું નથી કે તું T20ની કેપ્ટનશીપ ન છોડો.

