કચ્છના ગાંધીધામની માત્ર પાંચ વર્ષની યુવિકાને દોઢેક મહિના પહેલા અસહ્ય કફ-ખાંસી થઇ હતી. સ્થાનિક સારવારથી ફાયદો ના થતાં વધુ સારવાર માટે ભુજની અદાણી ગૃપ સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સ્વાભાવિક જ તેની સારવાર અગાઉ તેનો બ્લડ અને સ્યુગરના કરાયેલા ટેસ્ટમાં આ દીકરીનું ડાયાબિટીસ ઉંચું આવ્યું જે જોઇને ડોક્ટર્સને પણ આશ્ચર્ય થયું હતું. તેના એક્ષ્રરે રીપોર્ટમાં ફેફસામાં ફંગસ થયાનું બહાર આવ્યું હતું.
કોરોનાકાળના ઉતરાર્ધમાં મ્યુકરમાઇકોસિસ (બ્લેક ફંગસ)ના નવા વેરીઅન્ટે ચિંતાનું મોજું ફેલાવેલું છે. યુવિકાને તો સાથે ડાયાબિટીસ પણ હતો. હોસ્પિટલના બાળ રોગ નિષ્ણાંત ડો.રેખાબેન થડાનીએ યુવિકાની સારવાર કરતા અગાઉ તેના ડાયાબિટીસને કંટ્રોલ કરવા મથામણ કરી. વારંવાર ચડ-ઉતર થતું સ્યુગર લેવલ બ્લેક ફંગસની સારવારને ઝડપથી અસરકારક થતાં અવરોધતું હતું.
આ રોગ દર્દીના કાન, નાક, ગળા અને ફેફસામાં અસર કરે છે.ઘણા કિસ્સામાં મ્યુકરમાઇકોસિસનો રોગ જીવલેણ સાબિત થયો છે અને આ રોગથી મૃત્યુની ટકાવારીનું પ્રમાણ ૩૦ ટકા જેટલું રહ્યું છે.આ માહિતી આપતા અદાણી જી.કે જનરલ હોસ્પિટલના ઇ.એન.ટી.સર્જન ડો.નિસર્ગ દેસાઇએ જણાવ્યું હતું કે અમારા સહુ તબીબો માટે આ બાળકીને બચાવી લેવાનો પડકાર હતો. તમામ તબીબોએ યુવિકાને પોતાની લાડલી ગણી તેનું સતત મોનીટરિંગ કરતા રહેલા. હોસ્પિટલના મેનેજમેન્ટે પણ યુવિકાની તબિયતની સતત પૂછપરછ કરતા રહીને ડોકટર્સને ઉત્સાહીત કર્યા.
અદાણી જી.કે. જનરલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રી.ડો. નરેન્દ્ર હિરાણીએ કહયું કે ગુજરાતમાં બાળકોમાં ભાગ્યેજ જોવા મળતા આ રોગમાં દર્દી માટે અલાયદો ખાસ વોર્ડ ઉભો કરીને સતત 42 દિવસ સુધી ફંગસ માટે કારગત સાબિત થયેલા એમ્ફોટેરિસીન જેવા મોંઘા ઇન્જેકશન મારફત યુવિકાને અમે બ્લેક ફંગસમાંથી હેમખેમ બહાર લાવી શક્યા તેમાં અમારી દવા અને હોસ્પિટલના નાના મોટા સ્ટાફ અને યુવિકાના પરિવારની પ્રાર્થના કામ કરી ગઇ. પિડીઆટ્રીક ડો.કરણ પટેલ, ડો.અજિત ખિલનાની, ડો. રોનક બોડાત, ડો.રશ્મિ સોરઠિયા પ્રત્યે આદર અને ઋુણભાવ વ્યકત કરતા યુવિકાના પિતા ઉમેશસિંહ સૈનીએ કહયું હતું કે મારી એકની એક દીકરીને ફુગનો રોગ થયાનું ડોક્ટરે કહયું ત્યારે મેં આનો સારવારનો ખર્ચ કેટલો થાય તેની જાણકારી માટે અમારા કાયમી ડોક્ટરને પૂછતા આ રોગની સારવાર ખાનગીમાં કરાવો તો રુ.૧૦ લાખ તો સહેજે થશે કારણ કે આ રોગના એમ્ફોટેરિસીન ઇન્જેકશન અને પોસોકોનેઝોલ દવા ખર્ચાળ છે, આ રકમ સાંભળી અમારા રોજનું કમાઇ રોજ ખાતા પરિવારની ઉંઘ હરામ થઇ ગઇ હતી પરંતુ ભુજની અદાણી હોસ્પિટલમાં આ રોગની સારવાર મળી જશે તેવી ખબર મળતા અમોને યુવિકા બચી જશે તેવી આશા બંધાણી હતી એમ કહેતા ઉમેશસિંહે વધુમાં કહયું કે ૪૨ દિવસે યુવિકા સાજી સારી ઘરે આવી છે પરંતુ ડોક્ટરે કીધું છે કે આ કાળી ફુગ આખા શરીરમાંથી નાબૂદ ના થાય અને ફરી ઉથલો ના મારે તે માટે વખતો વખત તપાસ માટે આવતા રહેવું પડશે.

