વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન રાજકોટનું ગ્રીનફિલ્ડ એરપોર્ટ ઉપર આગામી તા. 15 ઓગષ્ટથી ફ્લાઈટનું ટેકઓફ અને લેન્ડીંગ કરી શકે તે માટે વહીવટીતંત્ર ઉંધા માથે લાગ્યું છે. જો બધું જ યોગ્ય રહ્યું તો 15મી ઓગષ્ટ, 2022ના રોજ આઝાદી પર્વની ઉજવણીના દિવસે જ ઐતિહાસીક ઘટના બની રહેશે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
આધારભૂત સુત્રોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે 15મી ઓગષ્ટ સ્વાતંત્ર દિવસની ઉજવણીના પ્રસંગે રાજકોટનું ઈન્ટરનેશનલ એરપોર્ટ હીરાસર એરપોર્ટ ઉપરથી પ્રથમ ફ્લાઈટને ઓપરેટ કરવા માટેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે આ અંગે હજું કોઈ સત્તાવાર જાણ કરાઈ નથી પરંતુ એરપોર્ટ ઉપર કામ કરી રહેલી ઈજનેરોની ટીમને આ અંગેની મૌખિક સૂચના આપી દેવાઈ છે.

અત્યારે હીરાસર એરપોર્ટ ટર્મિનલ અને રનવેની કામગીરી 70થી 75 ટકા જેવી પૂર્ણ થઈ ગઈ છે. જો વિઘ્નવિના કામ પુરૂ થઈ જાય તો આગામી 15મી ઓગષ્ટ રાજકોટ માટે ઐતિહાસિક દિવસ સમાન બની રહેશે અને પહેલી ફ્લાઈટનું આવાગમન થશે. ગ્રીનફિલ્ડ એરપોર્ટમાં રન-વે સહિતનું કામ પ્રગતિમાં છે. જ્યારે ટર્મિનલ બિલ્ડીંગ માટેનો કોન્ટ્રાક્ટ અમદાવાદની એક કંપનીને 280 કરોડ રૂપિયામાં આપવામાં આવ્યો છે. ટર્મિનલ બિલ્ડીંગનું બાંધકામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. 3040 મીટરના રન-વેમાંથી અત્યારે 2100 મીટરનો રન-વે તૈયાર થઈ ગયો છે.

આંતરિકસુત્રોમાંથી જાણવા મળતી વિગત પ્રમાણે ઓગષ્ટમાં રન-વે ઉપર એરક્રાફ્ટ લેન્ડીંગ અને ટેકઓફની ટ્રાયલ લેવાશે તથા માર્ચ 2023માં ઈન્ટરનેશનલ એરપોર્ટ ધમધમતુ થશે. જો ઓગષ્ટ સુધીમાં ટર્મિનલ બિલ્ડીંગનું કામ પૂર્ણ નહીં થાય તો હંગામી ધોરણે ટર્મિનલ બિલ્ડીંગ બનાવાશે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે.

