મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામ નજીક આવેલા ડેમી-2 સિંચાઈ યોજનામાંથી ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી ચેકડેમો ભરવા માટે પાણી છોડવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારના નર્મદા, જળસંપત્તિ, માલમત્તા અને કલ્પસર વિભાગે 125 એમસીએફટી પાણી છોડવાની મંજૂરી આપતા ગુરુવારે સવારે ડેમનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલી પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ડેમમાંથી પાણી છોડાતા સાવચેતીના ભાગરૂપે તંત્રએ ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર અને મોટા રામપર, મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર, કોયલી, ધૂળકોટ, આમરણ, ડાયમંડનગર અને બેલા તેમજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવનું ગામ સહિત કુલ 10 નીચાણવાસના ગામોમાં એલર્ટ જાહેર કર્યું છે. જિલ્લા વહીવટી તંત્રએ ગ્રામજનોને નદીના પટમાં અવરજવર નહીં કરવા, પશુઓને નદી તરફ ન લઈ જવા તેમજ તંત્રની તમામ સુરક્ષા સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

