મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં70 વર્ષના વૃદ્ધે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબીના રવાપર-ઘુનડા રોડ પર ક્રિષ્ના સ્કૂલ વાળી શેરીમાં આવેલા ‘તુલસીપત્ર-એ’ એપાર્ટમેન્ટના બ્લોક નં. 103માં રહેતા હરીભાઇ વિરજીભાઇ દેત્રોજા (ઉં.વ. ૭૦) નામના વૃદ્ધે ગઈકાલે તા. 27/05/2026ના સવારના 10:55 વાગ્યા પહેલાના કોઈ પણ સમયે આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. હરીભાઈએ પોતાના એપાર્ટમેન્ટના આઠમા માળે આવેલા ધાબા ઉપર પાણીના ટાંકાની સીડી સાથે સફેદ કલરનો પનીયો બાંધીને પોતાની જાતે ગળેફાંસો ખાઈ લીધો હતો.ઘટનાની જાણ થતાં પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. વૃદ્ધને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં ફરજ પરના તબીબએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરી હતી.
આ બનાવ અંગે મોરબી સિવિલ હોસ્પિટલના ડોક્ટરે જાહેર કરતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર. આર. મિયાત્રા હોસ્પિટલ પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વૃદ્ધે ક્યા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી.

