મોરબી તાલુકાના જેતપર ગામે હનુમાન જયંતી નિમિત્તે પુનઃનિર્માણ થયેલ હનુમાનજી મંદિર ખાતે ધાર્મિક ભક્તિભાવ સાથે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિવિધ કાર્યક્રમમાં મંદિર પુનર્નિર્માણ, હનુમાન જયંતી મહોત્સવ તથા સામાજિક સમરસતાનો સંદેશ એક સાથે ઉજાગર થયો હતો. કાર્યક્રમ બોસિયા પરિવાર અને ઝંઝવાડીયા પરિવારના યજમાનપદે યોજાયો હતો.
ગામના રામજી મંદિર ચોકમાંથી હનુમાનજી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મંદિરે યજ્ઞવિધિ યોજાઈ હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક સ્થાનોના સંતો અને મહંતોએ હાજરી આપી આશીર્વચન પાઠવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન બોસિયા તથા ઝંઝવાડીયા પરિવાર દ્વારા સંતો, દાતાશ્રીઓ અને ભુવાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સરપંચ જેઠાભાઈ બોસિયાએ પ્રસંગોચિત સંબોધન કર્યું હતું, જ્યારે સંતોએ ધાર્મિક અને સામાજિક એકતાનો સંદેશ આપ્યો હતો. જેતપર ગામના તમામ સમાજના લોકો એકત્ર થઈ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ અવસરે ગામમાં સામાજિક સમરસતા અને એકતાનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા હરેશભાઈ બોસિયા, દલિત સમાજ યુવા ટીમ તથા ગ્રામજનોએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ પરમારે કર્યું હતું.

