સમાજવિદ્યાભવનના રાજ્યશાસ્ત્ર વિભાગ, ગુજરાત યુનિવર્સિટી ખાતે સ્વામી વિવેકાનંદના ઐતિહાસિક મદ્રાસ ઉદ્બોધનની 129મી વર્ષગાંઠ નિમિત્તે ભાવપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. 14 ફેબ્રુઆરી 1897ના રોજ સ્વામીજીએ “ભારતનું ભાવિ” વિષય પર આપેલા પોતાના પ્રસિદ્ધ ભાષણમાં દેશવાસીઓને આહ્વાન કર્યું હતું કે, આગામી 50 વર્ષ સુધી માત્ર ભારતમાતાની ઉપાસનામાં જ જીવન સમર્પિત કરીએ. તેમની આ પ્રેરણાદાયી વાણી સમયાંતરે સાચી સાબિત થઈ અને બરાબર અડધા સદી બાદ, 1947માં ભારતને સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયું. તેથી 14 ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રભક્તિ અને દેશપ્રેમના પ્રતિકરૂપે યાદ કરવામાં આવે છે.
કાર્યક્રમ દરમિયાન રાજ્યશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ અને પ્રા. સંયોજક ડૉ. હિતેશ પટેલે સ્વામીજીના રાષ્ટ્રનિર્માણના વિચારોને આજના યુવાનો માટે દિશાદર્શક ગણાવ્યા. મુખ્ય અતિથિ કેપ્ટન ડૉ. હરદીપસિંહ ગોહિલ તથા પ્રા. ડૉ. રંજનાબેન ધોળકિયાએ સ્વામીજીના આદર્શોથી પ્રેરણા લઈ “સ્વપ્નીલ ભારત-2047”ના નિર્માણમાં યુવાશક્તિને સક્રિય ભાગીદાર બનવા અપીલ કરી.
રાષ્ટ્રજાગરણ અભિયાનના સંયોજકો કેવલ હરણ અને રાધિકા યાજ્ઞિકે જણાવ્યું કે, ભારત સ્વાતંત્ર્યની શતાબ્દિ 2047માં ઉજવશે, ત્યારે વિશ્વમંચ પર ભારતને “જગદજનની” તરીકે ફરી પ્રતિષ્ઠિત કરવા યુવાનોનું સમર્પિત યોગદાન જરૂરી રહેશે. કાર્યક્રમના અંતે મહાવીર ડાભી (માઈકલ ડાભી) દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી અને “વંદે માતરમ”ના ગાન સાથે સમારંભ પૂર્ણ થયો.

